![]()
– પૂર્વજો અને ઋષિમુનીઓને વિશેષ અર્ધ્ય અપાશે
– શહેરના જૂનાબંદર, જિલ્લાના દરિયાકાંઠે નાળિયેર અર્પણ કરવા શ્રધ્ધાળુઓ ઉમટશે
ભાવનગર : ગોહિલવાડમાં આવતીકાલ તા.૯ ઓગસ્ટના રોજ રક્ષાબંધન, બળેવ, નાળિયેરી પૂનમના ત્રિવેણી લોકપર્વની પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. હિન્દુ પરંપરા મુજબ બહેનો ભાઈને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ મનાવશે. ભૂદેવો વૈદિક મંત્રોચ્ચાર સાથે નૂતન યજ્ઞોપવિત ધારણ કરશે. પુર્વજો અને ઋષિમુનીઓને વિશેષ અર્ધ્ય અપાશે.
ભાવનગર અને બોટાદ શહેર-જિલ્લામાં આવતીકાલે શનિવારે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમીતે લાડકવાયી બહેન સોળે શણગાર સજીને પોતાના વહાલયસોયા વીરાના કાંડે આભૂષણરૂપી રક્ષાની રાખડી બાંધી દિર્ઘાયુ કુશળતાની કામના કરશે. બદલામાં ભાઈ પણ તેની લાડકી બહેનને રોકડ કે ચીજવસ્તુ ભેટરૂપે આપી બંધુધર્મ નિભાવશે. ભૂદેવો અને ક્ષત્રિય સમાજના ભાઈઓ પરંપરાગત રીતે વૈદિક મંત્રોચ્ચાર અને પૂજન અર્ચન સાથે નૂતન યજ્ઞોપવિત ધારણ કરશે. આ નિમીત્તે બ્રહ્મસમાજના સંગઠનો દ્વારા યજ્ઞોપવિતના સામૂહિક કાર્યક્રમોના પણ આયોજન કરાયા છે. નાળિયેરી પૂનમ નિમિત્તે દરિયાખેડૂ, માછીમારો દરિયાદેવને ચૂંદડી અને નાળિયેર અર્પણ કરી પૂજા અર્ચના સાથે દરિયો ખેડવાનો પ્રારંભ કરશે. આ સાથે શ્રાવણ માસના મુખ્ય તહેવારના લોકમેળાનો પણ પ્રારંભ થઈ જશે. શહેરના જુના બંદર, કેબલ સ્ટેડ પુલ ખાતે પરંપરાગત રીતે ભાતીગળ લોકમેળો ભરાશે. તેમજ કોળિયાક અને કુડા સહિતના દરિયાકાંઠાના પર્યટન સ્થળોએ પણ માનવ મહેરામણ ઉમટી પડશે. રક્ષાબંધનને લઈને રાખડી તેમજ મીઠાઈની અંતિમ તબકકાની ખરીદી માટે બજારોમાં બહેનોની ભારે ઘરાકી નિકળી હતી.
95 વર્ષ બાદ ભદ્રા રહિત વ્રતની પૂનમ
૯૫ વર્ષ બાદ ફરીવાર તા.૯ ને શનિવારે ભદ્રારહિત રક્ષાબંધન ઉજવાશે. ૯-૮-૧૯૩૦ માં ભદ્રાકાળ વગર સૂર્યોદયથી સાંજે ૪-૩૦ સુધી રક્ષાબંધન ઉજવાઈ હતી. આ વર્ષે રક્ષાબંધને સ્વાર્થસિધ્ધયોગ, સૌભાગ્યયોગ અને શોભનયોગનો સંયોગ છે.રાખડી બાંધવાનું શુભ મુર્હૂત શનિવારે બપોરે ૧-૨૪ મિનિટ સુધી રહેશે.










