![]()
Jamnagar Crime : જામનગર તાલુકાના સિક્કા ગામમાં પંચવટી સોસાયટીમાં રહેતી વિધવા વિપ્ર મહિલાની ગઈ મોડી રાત્રે તલવારના ચાર જેટલા ઘા ઝીંકી દઈ હત્યા નિપજાવાઈ હતી, જે હત્યા નિપજાવનાર એક હોટલ સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, મહિલા પાસે અગત્યની માંગણી કરતાં તેનો ઇનકાર કર્યો હોવાથી આ હત્યા નીપજાવાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા આરોપીને શોધવા માટેની કવાયત કરાઈ છે.
આ હત્યાના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કામાં પંચવટી સોસાયટીમાં રહેતી નીલમબેન મહેશભાઈ અશવાર નામની 36 વર્ષની વિધવા મહિલા, કે જેના ઉપર રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં તલવારના ચાર જેટલા ઘા ઝીંકી ડી હત્યા નિપજાવાઈ હતી, અને તેણીનું બનાવના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો.
આ બનાવ અંગે સલાયામાં રહેતા મૃતક નીલમબેનના ભાઈ જયદીપભાઇ અરવિંદભાઈ વ્યાસે સિક્કા પોલીસ મથકમાં આવી પોતાની બહેનની હત્યા નિપજાવવા અંગે સિક્કામાં જ રહેતા અને સિક્કા હાઈવે રોડ પર હોટલ ચલાવતા સુખદેવસિંહ વીરાજી જાડેજા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીએ મૃતક મહિલા પાસેથી અઘટિત માંગણી કરી હોવાથી તેનો ઇનકાર કર્યો હોવાના કારણે આ હત્યા નિપજાવાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. હાલ આરોપી ભાગી છૂટ્યો હોવાથી સિક્કા પોલીસ તેને શોધી રહી છે.
મૃતક મહિલા, કે જેના પતિનું અવસાન થઈ ગયું છે, અને પોતાના બે સંતાનો સાથે પંચવટી સોસાયટીમાં રહેતી હતી. અને આરોપીના સંપર્કમાં આવ્યા બાદ કઈ રાત્રે બંને વચ્ચે ઝઘડો થયો હતો, અને આ હત્યા કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. સિક્કા પોલીસ હત્યારા આરોપીને શોધી રહી છે.










