વડોદરાઃ આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાતાં જ વડોદરા પાસેના પિલોલ ગામમાં પાણી ભરાવા માંડે છે અને જેમ જેમ વિશ્વામિત્રીની સપાટી વધે છે તેમ પિલોલ ગામને પૂરના પાણી ભરડામાં લેતા હોય છે.પરિણામે છેલ્લા ચાર દિવસથી પિલોલ ગામ લગભગ બંધ હાલતમાં છે.
વડોદરાથી ૧૨ કિમી દૂર આવેલા સાવલી તાલુકાના પિલોલ ગામમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે.પિલોલ આવજા કરવા માટે વડોદરાથી રસ્તો વધુ સરળ પડતો હોય છે.વિશ્વામિત્રીમાં પૂર ઉપરાંત આજવા સરોવરનું પાણી છોડાય ત્યારે તરત જ પિલોલ ગામથી વડોદરા બ્રિજવાળો મેન રોડ પાણીમાં ગરકાવ થઇ જાય છે.
આવી જ રીતે પિલોલ ગામમાંથી રેલવે સ્ટેશન પાસેના ગરનાળાની નીચેથી એક રસ્તો પસાર થાય છે.પરંતુ ત્યાં તો સૌથી પહેલાં પાણી ભરાઇ જાય છે.જેથી ત્યાંનો સંપર્ક પણ કપાઇ જાય છે.
વડોદરા તરફ જવા માટે ત્રીજો એક રસ્તો પણ છે.પણ આ રસ્તે ૨૦ કિમી વધુ ફરવું પડે છે.જેથી આ રસ્તો જવલ્લે જ કોઇ પસંદ કરતું હોય છે.પરિણામે છેલ્લા ચાર દિવસથી વર્ષોની જેમ ફરી એક વાર પિલોલ ગામમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઇ છે.પિલોલના વિદ્યાર્થીઓ બહાર જઇ શકતા નથી.તો વેપારીઓ,નોકરીયાતો અને ખેડૂતો પણ આવ જા કરી શકતા નથી.
આજે વડોદરામાં વિશ્વામિત્રીની સપાટી ૧૬ ફૂટે પહોંચી છે.પરંતુ પિલોલ ગામે હજી પણ પાણી ઓસર્યા નથી.પરિણામે ગ્રામજનોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.
15 વર્ષ પહેલાં નદી પર બ્રિજ બનાવ્યો પણ બ્રિજને જોડતા રસ્તા નીચા જ રહ્યા
પિલોલના ગ્રામજનોને પૂરની સમસ્યાથી છૂટકારો અપાવવા માટે ૧૫ વર્ષ પહેલાં વિશ્વામિત્રી નદી પર બ્રિજ બનાવવામાં આવ્યો હતો.પરંતુ આ બ્રિજને જોડતા એપ્રોચ રોડ નીચા જ રહ્યા હતા.પરિણામે બ્રિજ પર પાણી નથી આવતું.પરંતુ રસ્તા પર પાણી ભરાઇ જાય છે અને અવરજવર બંધ થઇ જાય છે.
પાણીમાં ફસાઇ જતા વાહનો કાઢવા યુવકો ટ્રેક્ટરો સાથે મદદમાં
બ્રિજ પાસે પાણીમાંથી જોખમ ખેડીને બાઇક,થ્રી વ્હીલર અને ફોરવ્હીલર વાહનો કાઢવાનો પ્રયાસ કરનાર અનેક વાહન ચાલકો ફસાઇ જતાં ગામના યુવકો દ્વારા ટ્રેક્ટરો કામે લગાવીને આવા વાહનો બહાર કાઢવાની સેવા કરવામાં આવી રહી છે.આવી જ રીતે લોકોને બહાર લઇ જવા પણ ટ્રેક્ટરો કામે લાગે છે.
108 એમ્બ્યુલન્સ પણ આવી ના શકે તેવી સ્થિતિ
વિશ્વામિત્રીમાં પૂર આવતાં પિલોલ ગામનો સંપર્ક કપાઇ જાય છે.પરિણામે, ઇમરજન્સી સેવા માટે ૧૦૮ બોલાવવામાં આવે કે ફાયર બ્રિગેડની જરૃર પડે તો સીધા આવી જ ન શકે તેમ હોય છે.તેમને ૨૦ થી ૨૫ કિમી ફરીને આવવું પડે તેવી સ્થિતિ છે.










