Meghalaya Cabinet: મેઘાલયમાં મંગળવારે (16મી સપ્ટેમ્બર) મંત્રીમંડળમાં ફેરફાર પહેલા 12માંથી 8 મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપનારાઓમાં દિગ્ગજ નેતાઓ એ.એલ. હેક, પોલ લિંગડોહ અને એમ્પારીન લિંગડોહનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ રાજીનામા મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન આપવાના ઉદ્દેશ્યથી આપવામાં આવ્યા છે.
નવા મંત્રીઓ આજે શપથ લેશે
અહેવાલો અનુસાર, નેશનલ પીપલ્સ પાર્ટી(NPP)ની આગેવાની હેઠળની મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (MDA) સરકારના વડા મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાએ રાજભવન ખાતે રાજ્યપાલ સી.એચ. વિજયશંકરને મળ્યા અને મંત્રીઓના રાજીનામા સુપરત કર્યા. મંત્રીમંડળમાં જોડાયેલા નવા મંત્રીઓને મંગળવારે સાંજે 5 વાગ્યે રાજભવન ખાતે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવશે.
સૂત્રોના જણાવ્યાનુસાર, રાજીનામું આપનારા આઠ મંત્રીઓમાં NPPના અમ્પારિન લિંગદોહ, કામિંગવાન યામ્બોન, રક્કમ એ સંગમા અને અબુ તાહેર મંડલ, યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP)ના પોલ લિંગદોહ અને કાર્મેન શૈલા, હિલ સ્ટેટ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (HSPDP)ના શકલિયાર વારજારી અને ભાજપના એ.એલ. હેકનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ભાજપને હંફાવવા માટે રાહુલ ગાંધીની ‘ગુજરાત યોજના’, કોંગ્રેસ કાર્યકરોને મજબૂત તૈયારીની હાકલ
નિયમો અનુસાર, 60 સભ્યોની મેઘાલય વિધાનસભામાં મુખ્યમંત્રી સહિત 12થી વધુ મંત્રીઓ હોઈ શકતા નથી. અમ્પારીન લિંગદોહ કૃષિ અને કાયદા વિભાગના મંત્રી હતા, જ્યારે યમબોન સહકાર સંભાળી રહ્યા હતા અને રક્કમ એ સંગમા શિક્ષણ વિભાગ સંભાળી રહ્યા હતા. અબુ તાહેર મંડલ ઉર્જા મંત્રી હતા, પોલ લિંગદોહ પ્રવાસન સંભાળી રહ્યા હતા, અને કાર્મેન શાયલા મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સંભાળી રહ્યા હતા. શકલિયાર વારજરી રમતગમત મંત્રાલયના પ્રભારી હતા અને એ.એલ. હેક પશુપાલન વિભાગના પ્રભારી હતા. આ મંત્રીઓના રાજીનામાથી નવા મંત્રીઓ માટે મંત્રીમંડળમાં જોડાવાનો માર્ગ મોકળો થયો છે.