![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં પહેલી વખત થ્રી ડી બાયો પ્રિન્ટિંગ ટેકનિક અને થ્રી ડી સેલ કલ્ચર અંગે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને જાણકારી આપવા માટે સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમિનારમાં અમેરિકાના પ્રતિષ્ઠિત ઈન્સ્ટિટયુટ જોહન હોપકિન્સના પૂર્વ વિદ્યાર્થી ડો.સંસ્કૃતિ દાસ અને થ્રી ડી સેલ કલ્ચર નિષ્ણાત ડો.ગીરિરાજ આચાર્યેે આ ટેકનોલોજી અંગે માહિતી આપી હતી.
સેમિનારના કન્વીનર અને ઝૂઓલોજી વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.રણજિતસિંહ દેવકરે કહ્યું હતું કે, થ્રી ડી બાયો પ્રિન્ટર અને થ્રી ડી સેલ કલ્ચર ભવિષ્યની ટેકનોલોજી છે. તેની મદદથી લેબોરેટરીમાં શરીરના કોઈ પણ હિસ્સાનું નિર્માણ કરવું શક્ય બનશે.ભવિષ્યમાં શરીરમાં કિડની અને લિવર જેવા અંગોના પ્રત્યાર્પણ માટે કોઈ દાતા પર આધાર નહીં રાખવો પડે.ઉપરાંત દવા સંશોધનના ક્ષેત્રમા નવી દવાની સંભિવત અસરો જાણવા ઉંદર અને સસલા જેવા પ્રાણીઓ પર તેનો પ્રયોગ થાય છે. પરંતુ તે જ અખતરા થ્રી ડી બાયો પ્રિન્ટરથી ઓર્ગન બનાવીને કરી શકાશે. જેના કારણે વર્ષે ૧.૧૫ કરોડ જેટલા પ્રાણીઓના જીવ પણ બચશે. કેટલાક દેશોમાં દવા કંપનીઓએ આ ટેકનોલોજીનો ઉપયોગ શરુ પણ કરી દીધો છે.
સેમિનારમાં સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો.કલમકર અને ઝૂલોજી વિભાગના હેડ પ્રો.બી સુરેશ પણ હાજર રહ્યા હતા.










