![]()
Shashi Tharoor on India-Pak Handshake Row: એશિયા કપ 2025ની ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાઈ તેવી સંભાવનાઓ છે. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ભારતીય ખેલાડીઓ દ્વારા પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઈનકાર કરવાના વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘આપણે રમતની ભાવનાને રાજકારણ અને સેનાના સંઘર્ષથી અલગ રાખવી જોઈએ. કારગિલ યુદ્ધ વખતે પણ આપણે પાકિસ્તાનની ટીમ સાથે હાથ મિલાવ્યા હતા.’
આપણે રમતની ભાવનાઓથી રમવું જોઈએ: શશિ થરૂર
મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસ નેતા શશિ થરૂરે જણાવ્યું હતું કે, ‘વ્યક્તિગત રીતે, મારું માનવું છે કે જો આપણે પાકિસ્તાનથી આટલા ગુસ્સે છીએ, તો આપણે બિલકુલ રમવું ન જોઈએ. પરંતુ જો આપણે રમી રહ્યા છીએ, તો આપણે રમતની ભાવનાઓથી રમવું જોઈએ અને તેમની સાથે હાથ મિલાવવો જોઈએ. જ્યારે 1999માં કારગિલ યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે આપણા સૈનિકો દેશ માટે પોતાના જીવ આપી રહ્યા હતા. આ દરમિયાન ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમાઈ રહ્યો હતો. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં દરમિયાન ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો હતો, કારણ કે રમતની ભાવના અલગ છે અને તેનો દેશો કે સેનાઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ સાથે કોઈ સંબંધ નથી. જો કે,આ મારો મત છે.’
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અંગે શશિ થરૂરે જણાવ્યું હતું કે, ‘મને એવું લાગી રહ્યું છે કે, બંને ટીમની પ્રતિક્રિયાઓ ખેલદિલીનો અભાવ દર્શાવે છે.
આ પણ વાંચો: ‘અમે અહીં જ નથી રોકાવાના…’, GST માં ઘટાડા બાદ વડાપ્રધાન મોદીનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન
BCCIએ પાકિસ્તાનના ખેલાડીઓ સામે ફરિયાદ નોંધાવી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 21મી સપ્ટેમ્બરના રોજ એશિયા કપ 2025માં સુપર ફોર મેચ દરમિયાન પાકિસ્તાનના ખેલાડી સાહિબજાદા ફરહાન અને હરિસ રઉફ સામે અયોગ્ય વર્તન બદલ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં ફરિયાદ નોંધાવી હતી. BCCIએ આ ફરિયાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) અને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને મોકલી હતી.










