![]()
ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મુર્ખામી કરી અબજોના વેડફાટ : ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન્સ કમિટીએ રિપોર્ટમાં સ્પષ્ટ સૂચન કર્યું છે કે ખેડૂતોને હેક્ટરદીઠ સહાય એ જ યોગ્ય વિકલ્પ
જૂનાગઢ, : ટેકાના ભાવે મગફળીની ખરીદી સરકાર માટે લગભગ દર વર્ષે માથાનો દુઃખાવો બની જાય છે. જો ગત વર્ષની સરખામણીએ ઓછી મગફળી ખરીદી થાય તો ખેડૂતોનો વિરોધ થાય, જો વધુ ખરીદી કરે તો સરકારનું બજેટ ખોરવાઈ જાય તેમ છે. ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન્સ કમિટીએ દેશ- વિદેશમાં અભ્યાસ કરી સરકારને આપેલા રિપોર્ટમાં સ્પષ્ટ સૂચન કરેલું છે કે, ટેકાના ભાવની ખરીદી બંધ કરી ખેડૂતોને હેક્ટરદીઠ રોકડ સહાય આપવી એ જ સૌથી યોગ્ય વિકલ્પ છે. આમ છતાં પણ સરકાર તેના મળતિયાઓને સાચવવા માટે આ યોજના અમલમાં મુકતી નથી. આ યોજના અમલમાં આવવાથી ખેડૂતોને અને સરકારને બંનેને ફાયદો થાય તેમ છે.
ખેડૂતોને એમએસપી મુજબ બજાર ભાવ મળતા ન હોવાથી સરકાર પ્રત્યે રોષ ભભૂકે છે. ખેડૂતોને સહાય આપવા માટે સરકાર ટેકાના ભાવની ખરીદી કરે છે. હાલમાં મગફળીની ખરીદી મુદ્દે સરકાર ભીસમાં મુકાઈ ગઈ છે. એક ખાંડી (ર૦ મણ) મગફળીના બજાર ભાવ ૧૯ હજાર આસપાસ છે. જ્યારે એમએસપી મુજબ સરકાર ખરીદી કરશે તો ખાંડીએ ર૯ હજાર ખેડૂતોને ચૂકવશે. ર૯ હજારના ભાવે ખરીદેલી મગફળી પાછળ કમિશન, બારદાન, મજૂરી, ટ્રાન્સપોર્ટેશન, ભાડા સહિતનો એક ખાંડીએ વધારાનો 10,000 નો ખર્ચ ચડે છે એટલે સરકારને એક ખાંડી મગફળી 39,000માં પડે છે. આ મગફળી જ્યારે સરકાર બજારમાં વેચવા મુકે ત્યારે તેને 17થી 19,000 રૂપિયામાં વેપારીઓ ખરીદે છે જેથી સરકારને એક ખાંડીએ 20,000ની નુકસાની સહન કરવાનો વારો આવે છે.
ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન્સ કમિટીએ સરકારના આદેશ મુજબ ખેડૂતોને તેની જણસોના વ્યાજબી ભાવ મળે તે માટે રિસર્ચ કર્યું હતું. આ કમિટીમાં અશોક ગુલાટી, તીર્થા ચેટરજી અને શીરાજ હુસૈની હતા. આ ત્રણેય નિષ્ણાતોની કમિટીએ તેમાં સ્પષ્ટ સૂચન કર્યું છે કે, ખેડૂતોને વ્યાજબી ભાવ આપવા માટે સૌથી ઉત્તમ એ છે કે જો સરકારે ખેડૂતોને સહાય કરવી જ હોય તો તેને હેક્ટરદીઠ જે બજેટ હોય તે મુજબ આપી દેવા જોઈએ પરંતુ ગુજરાતમાં જેમાં ખેડૂતોને 9,000 રૂપિયા ચુકવવા માટે ખાંડીદીઠ વધારાના 10,000 નું આંધણ કરી મગફળી વેંચે ત્યારે 20,000ની નુકસાની કરે છે. ખરા અર્થમાં 60 અબજ રૂપિયા સીધા જ હેક્ટર કે એકરદીઠ ખેડૂતોના ખાતામાં આપી દે તો ખરીદીની પ્રક્રિયાની ઝફામાંથી ખેડૂતો અને સરકારને રાહત મળે તેમ છે.









