![]()
વડોદરા, તા.10 સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી-૨૦૧૪ અને ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી રૃલ્સ-૨૦૧૬નો અમલ ન થાય ત્યાં સુધી લારીઓ નહીં ઉઠાવવા કોર્પોરેશનમાં વિરોધ પક્ષ કોંગ્રેસે રજૂઆત કરી છે.
કોર્પોરેશનમાં સુપરત આવેદનપત્ર આપતા વિપક્ષના નેતા અને શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, કેન્દ્રમાં ૨૦૧૪માં સ્ટ્રીટ વેન્ડર્સ એકટ ૨૦૧૪ પસાર કર્યો હતો. તેનો મુખ્ય આશય નાના લારી-નારી રેકડી લઇને ધંધો કરતા હોય તે લોકોની રોજીરોટી છીનવાય નહી ધંધાર્થીઓ જીવન નિર્વાહ કરી શકે એ હતો.
આ એકટ હેઠળ તમામ રાજ્યોએ પોતાના રૃલ્સ બનાવવાના હતા. ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ રૃલ્સ ૨૦૧૬ના નિયમો બનાવવામાં આવ્યા હતા અને સરકારે તમામ પાલિકાઓને આ રૃલ્સ મુજબ સ્ટ્રીટ વેન્ડીંગ કમિટિ બનાવવાના નિર્દેશ કર્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ૨૦૧૯થી દરખાસ્ત પેન્ડીંગ છે. સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ થાય નહીં ત્યાં સુધી કોઇપણ વેન્ડર્સની લારી ઉઠાવી રાઇટ ટુ લાઇવલીહુડનો ભંગ કરી શકાય નહીં.
મહાનગરપાલિકા ૫૦૦ અને ૧૦૦૦ રૃપિયાનો દર મહિને વહીવટી ચાર્જ ઉઘરાવે છે, છતાં પણ લારી ઉઠાવી લે છે. બીજીબાજુ પ્રધાનમંત્રી ગરીબોના ઉત્થાન માટે લોન આપે છે.










