![]()
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર અમદાવાદ, મંગળવાર
હવે પોતાના પ્રોવિડન્ટ ફંડના ખાતામાં રહેલા ઉપાડવા પાત્ર ‘પાત્ર બેલેન્સ’ના સો ટકા રકમ કર્મચારી ઉપાડી શકશે. કર્મચારીએ પ્રોવિડન્ટ ફંડમાં જમા કરાવેલી રકમ સહિત ૧૦૦ ટકા સુધી ઉપાડ કરી શકશે. જોકે તમામ ઉપાડ પછી ૨૫ ટકા ૨૫ ટકા બેલેન્સ પ્રોવિડન્ટ ફંડના ખાાતમાં રહેવું જોઈએ તેવી શરત સાથે મૂકવામાં આવી હોવાથી સો ટકા ઉપાડના દાવા છતાંય સો ટકા ઉપાડ શક્ય બની શકશે નહિ. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની ૨૩૮મી બેઠકમાં નવી દિલ્હી ખાતે એક મહત્વપૂર્ણ નિર્ણયલઈને પ્રોવિડન્ટ ફંડના ઉપાડને અત્યંત સરળ બનાવી દેવામાં આવ્યો છે.
કેન્દ્રના શ્રમ અને રોજગાર પ્રધાન મનસુખ માંડવિયાના વડપણમાં યોજાયેલી બેઠકમાં પ્રોવિડન્ટ ફંડના ખાતામાંથી ૧૦૦ ટકા ઉપાડની મંજૂરી આપવામાં આવી છે. પ્રોવિડન્ટ ફંડના ઉપાડના જૂના નિયમો મુજબ પ્રોવિડન્ટ ફંડનો ઉપાડ માત્ર નોકરીમાંથી નિવૃત્તિ ટાણે અથવા તો બેરોજગારીની સ્થિતિમાં જ શક્ય હતો. નોકરી છૂટયા પછી ૧ મહિના બાદ સભ્યને ૭૫ ટકા પ્રોવિડન્ટ ફંડ ઉપાડવાની મંજૂરી હતી. ત્યારબાદ બાકી રહેલ ૨૫ ટકા રકમ ૨ મહિના બાદ ઉપાડી શકાતી હતી. તેમ જ નિવૃત્તિ સમયે પ્રોવિડન્ટ ફંડની સંપૂર્ણ રકમ ઉપાડવાની મંજૂરી હતી.
તદુપરાંત હવે પ્રોવિડન્ટ ફંડ ઉપાડવાના નિયમોને વધુ સરળ બનાવી દેવામાં આવ્યા છે. પ્રોવિડન્ટ ફંડના સભ્યો સરળતાથી નાણાંનો ઉપાડ કરી શકે તે માટે પ્રોવિડન્ટ ફંડ કચેરીએ ૧૩ અલગ-અલગ જટિલ શરતોને એકત્રિત કરીને માત્ર ત્રણ કેટેગરીમાં વહેંચી દીધી છે. આ સરળતા લાવવાના પાછળના સરકારના ઇરાદાની સ્પષ્ટતા કરતા કેટલાક લોકો કહે છે કે સરકારને પ્રોવિડન્ટ ફંડ પર ૮.૨૫ ટકા વ્યાજ ચૂકવવાનું આકરું લાગી રહ્યું હોવાથી નાણાંના ઉપાડને સરળ બનાવી રહી છે. આ રીતે વ્યાજ ખર્ચનો બોજ ઓછો કરી રહી છે.
એક, આવશ્યક જરૃરિયાતો એટલે કે બીમારી, શિક્ષણ, લગ્ન જેવા ખર્ચ માટે પણ પ્રોવિડન્ટ ફંડ ઉપાડવાની છૂટ આપવામાં આવી છે. તેમ જ આવાસ સંબંધિત જરૃરિયાતો માટે એટલે કે જમીન કે મકાન ખરીદવા અથવા તો તેના હપ્તા ભરવા માટે(EMI) પણ પ્રોવિડન્ટ ફંડનો ઉપાડ કરવાની છૂટ આપવામાં આવી છે. તેમ જ કુદરતી આપત્તિ, લૉકઆઉટ, બેરોજગારીની સ્થિતિમાં પણ પ્રોવિડન્ટ ફંડના નાણાંનો ઉપાડ કરવાની છૂટ આપવામાં આવી છે.
શિક્ષણ ખર્ચ માટે ૧૦ વખત ઉપાડની છૂટ આપવામાં આવી છે.પરિવારના બાળકોના શિક્ષણ માટે પ્રોવિડન્ટ ફંડનો ઉપાડ હવે ૧૦ વખત સુધી થઈ શકે છે. હા, પણ ખાસ યાદ રાખવાની વાત એ છે કે હાયર એજ્યુકેશન માટે જ આ ઉપાડ કરવા દેવામાં આવશે. તેમ જ લગ્ન માટે ઉપાડ પાંચ વખત થઈ શકે છે. જૂની વ્યવસ્થા હેઠળ બંને હેતુ માટે માત્ર ત્રણ ત્રણ વાર ઉપાડ કરવા દેવામાં આવતો હતો.
પ્રોવિડન્ટ ફંડના ઉપાડ માટે લઘુત્તમ સેવા સમય ઘટાડવામાં આવ્યો છે. પ્રોવિડન્ટ ફંડના ઉપાડ માટે હવે માત્ર ૧૨ મહિનાની સેવા-નોકરી કરેલી હોવી જરૃરી છે. અગાઉ સભ્યોએ ઉપાડ માટે કુદરતી આપત્તિ, લૉક આઉટ, બેરોજગારી કે પછી ઘર મકાનની ખરીદી અથવા લગ્નના ખર્ચ જેવા કારણ આપવા પડતા હતા. તેને લગતા પુરાવાઓ રજૂ કરવા પડતા હતા. હવે કારણ આપ્યા વગર ઉપાડ માટેની અરજી કરી શકાશે.
એક તરફ સો ટકા ઉપાડની જાહેરાત કરે છે, પરંતુ બીજીતરફ પ્રોવિડન્ટ ફંડના ખાતામાં મિનમમ ૨૫ ટકા બેલેન્સ રહેવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ શરતને પરિણામે પ્રોવિડન્ટ ફંડના ખાતામાં પડેલી સો ટકા રકમનો ક્યારેય ઉપાડ કરી શકાતો નથી. શ્રમ મંત્રાલય મુજબ, સભ્યના પ્રોવિડન્ટ ફંડના ખાતામાંથી કુલ જમા રકમના ૨૫ ટકા રકમ મિનિમમ બેલેન્સ-લઘુત્તમ બેલેન્સ તરીકે રાખવી ફરજિયાત રહેશે. પ્રોવિડન્ટ ફંડમાં નાણાં જમા કરાવતા કર્મચારીઓને અત્યારે તેમની જમા રકમ પર ૮.૨૫ ટકા વ્યાજ ચૂકવવું પડે છે. આ પગલાથી ઉપાડની સુવિધા વધશે અને નિવૃત્તિ માટે પૂરતો ફંડ પણ જળવાઈ રહેશે.
હવે પ્રોવિડન્ટ ફંડના ઉપાડ પ્રક્રિયામાં કોઈ દસ્તાવેજની જરૃર પડશે નહીં. આમ તમામ ઉપાડની અરજીઓનું સો ટકા ઓટો-સેટલમેન્ટ શક્ય બનશે. તેમ જ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડનું પ્રીમેચ્યોર ફાઈનલ સેટલમેન્ટ હવે ૨ મહિનાથી વધારીને ૧૨ મહિના કરવામાં આવ્યું છે. આ જ રીતે અંતિમ પેન્શન ઉપાડ માટેનો સમયગાળો ૨ મહિનાથી વધારીને ૩૬ મહિના કરી દેવામાં આવ્યો છે. આ સુધારાઓથી સભ્યો તાત્કાલિક નાણાકીય જરૃરિયાતો પૂરી કરી શકશે અને સાથે નિવૃત્તિ બચત પણ જાળવી શકશે.










