![]()
Jaipur News | રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી એક અત્યંત દુઃખદ માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. બેસતા વર્ષે જયપુરના ચોમું વિસ્તારમાં બુધવારે સવારે હાઇવે પર એક બેફામ ગતિએ આવતી થાર ગાડીએ ત્રણ બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે.
મંદિરે દર્શન કરી ઘરે પરત જતો હતો પરિવાર
પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના રામપુરા પુલિયા પાસે બની હતી. પીડિત પરિવાર પ્રસિદ્ધ ખાટુ શ્યામજી મંદિરના દર્શન કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે જ આ અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
સારવાર દરમિયાન ત્રણના મોત
અકસ્માત બાદ, અન્ય છ ઘાયલોને તાત્કાલિક ચોમુંની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ, તમામને વધુ સારવાર માટે જયપુરની સવાઈ માનસિંહ (SMS) હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન અન્ય ત્રણ લોકોએ દમ તોડી દીધો હતો.
મૃતકોમાં કોણ કોણ સામેલ?
મૃતકોની ઓળખ વીરેન્દ્ર શ્રીવાસ્તવ (55), સુનીલ શ્રીવાસ્તવ (50), શ્વેતા શ્રીવાસ્તવ (26) અને તેમના પતિ લકી શ્રીવાસ્તવ (30) તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે અકસ્માત સર્જ્યા બાદ થારનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેની શોધખોળ હાલ ચાલી રહી છે.










