![]()
Madhya Pradesh News: દિવાળીના પવિત્ર પર્વ પર મધ્ય પ્રદેશના વિદિશા શહેરમાં ચોરીની એક મોટી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શિવ નગર કોલોનીમાં આવેલા એક વકીલના ઘરમાંથી આશરે 35 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી થઈ છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે ચોરોએ લક્ષ્મી પૂજા માટે માતા સમક્ષ અર્પણ કરાયેલા દાગીના અને રોકડને જ નિશાન બનાવ્યા હતા.આ ઘટના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારના વોર્ડ નંબર 36, અભિનંદન ગાર્ડન પાસે બની હતી.
પૂજાની થાળીમાંથી ચોરી
એડવોકેટ નિરંજન વિશ્વકર્માના પરિવારે સોમવારે (20મી ઓક્ટોબર) રાતે આશરે 10 વાગ્યે ધામધૂમથી લક્ષ્મી પૂજા કરી હતી. પૂજા દરમિયાન, પરિવારે સોના-ચાંદીના દાગીના અને આશરે 7,000 રૂપિયાની રોકડ રકમ માતા લક્ષ્મીની પૂજાની થાળીમાં અર્પણ કરી હતી.
પરિવારના સભ્યો પૂજા અને રાત્રિભોજન કર્યાં પછી રાતે 1 વાગ્યાની આસપાસ સૂઈ ગયા હતા. સવારે 5 વાગ્યે પરિવારના એક સભ્યની પત્ની ઊઠી ત્યારે ઘરનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તાત્કાલિક પૂજા સ્થળે તપાસ કરતાં ઘરેણાં અને રોકડ રકમ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું.
આ પણ વાંચો: અપમાનનો બદલો! ડ્રાઈવરે માલિકના 5 વર્ષના દીકરાનું અપહરણ કરી ક્રૂરતાપૂર્વક કરી હત્યા
પોલીસની કાર્યવાહી
ઘટનાની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. માહિતી મળતાં જ સીએસપી અતુલ સિંહ, સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આરકે મિશ્રા સહિતની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ચોરોને પકડવા માટે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લેવામાં આવી હતી. હાલમાં, પોલીસ ચોરોની શોધમાં આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે.
શહેરમાં વધી રહેલી ચોરીઓ
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આરોપીઓની શોધ ચાલુ છે. જોકે, આ ઘટનાથી વિદિશા શહેરમાં વધતા જતા ગુનાખોરીના આંકડા પર ગંભીર સવાલો ઊભા થયા છે. છેલ્લા 20 દિવસમાં વિદિશા શહેરમાં 15થી વધુ ચોરીઓ નોંધાઈ છે, પરંતુ પોલીસ હજી સુધી ફક્ત એક (તોપપુરા) ચોરીનો જ ભેદ ઉકેલી શકી છે.










