![]()
Bihar Election News: બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે ચૂંટણી પંચે કૈમુર જિલ્લાની મોહનિયા વિધાનસભા બેઠક પરથી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવાર શ્વેતા સુમનનું નામાંકન પત્ર રદ્દ કરી દીધું છે. ચૂંટણી પંચે શ્વેતા સુમનને ઉત્તર પ્રદેશના મૂળ નિવાસી ગણીને તેમનું નામાંકન અમાન્ય ઠેરવ્યું છે.
શું હતો મામલો?
આ મામલે ભારતીય જનતા પાર્ટી (BJP)એ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી કે શ્વેતા સુમન બિહારના મૂળ નિવાસી નથી, પરંતુ ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લાના રહેવાસી છે. ભાજપનો આરોપ હતો કે બિહારની આરક્ષિત બેઠક પરથી ચૂંટણી લડવા માટે રાજ્યના મૂળ નિવાસી હોવું ફરજિયાત છે.
ચૂંટણીપંચે શું કહ્યું?
ચૂંટણી પંચે ભાજપની ફરિયાદ પર કાર્યવાહી કરતા શ્વેતા સુમનના દસ્તાવેજોની તપાસ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે શ્વેતાએ 2020ની ચૂંટણીમાં પણ મોહનિયા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી, જેમાં તેમણે પોતાનું સરનામું ઉત્તર પ્રદેશના ચંદૌલી તરીકે દર્શાવ્યું હતું. આ વખતે તેમણે બિહારનું સરનામું આપ્યું હતું, પરંતુ ચૂંટણી પંચે તેને પૂરતું પુરાવો ન ગણીને તેમનું નામાંકન રદ્દ કરી દીધું.
મહિલા ઉમેદવારે નારાજગી વ્યક્ત કરી
પોતાનું નામાંકન રદ્દ થવા પર શ્વેતા સુમને નારાજગી વ્યક્ત કરતા કહ્યું, “ભાજપ અને તેમના ઉમેદવાર મારાથી અને RJDની સરકાર આવવાથી ડરી ગયા છે, એટલા માટે તેઓ અન્યાય કરી રહ્યા છે. હું અહીં 20 વર્ષથી રહું છું.”
અગાઉ VIP ઉમેદવારનું નોમિનેશન રદ થયું હતું
આ પહેલા વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP)ના ઉમેદવાર શશિ ભૂષણ સિંહનું નામાંકન પણ મોતિહારીની સુપૌલી બેઠક પરથી ટેકનિકલ કારણોસર રદ્દ થયું હતું. આ રીતે, ઉમેદવારોના નામાંકન રદ્દ થવાથી મહાગઠબંધનને સતત ઝટકા લાગી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બિહારની 243 બેઠકો પર 6 અને 11 નવેમ્બરે મતદાન યોજાશે અને 14 નવેમ્બરે પરિણામ જાહેર થશે.










