![]()
Prayagraj Man Trapped in Saudi: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રહેવાસી અંકિત ભારતીય ઉર્ફે ઈન્દ્રજીત સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં ફસાયેલો હોવાનો દાવો કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. વીડિયોમાં ઈન્દ્રજીત રડતા રડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘરે પાછા ફરવા માટે મદદની વિનંતી કરી રહ્યો છે. અંકિત ભારતીય (ઈન્દ્રજીત) પહેલી ઓક્ટોબર 2025ના રોજ રોજીરોટી કમાવવા માટે રિયાધ ગયો હતો, પરંતુ ત્યાં ગયા બાદ તેની મુશ્કેલીઓ શરૂ થઈ હોવાનું તેણે જણાવ્યું છે.
પાસપોર્ટ જપ્ત, ઊંટ ચરાવવાનું કામ સોંપાયું
વીડિયોમાં ઈન્દ્રજીતે ગંભીર આરોપ લગાવ્યો છે કે, તેના સ્પોન્સરે (માલિકે) તેનો પાસપોર્ટ જપ્ત કરી લીધો છે અને જે કામ માટે રાખવામાં આવ્યો હતો, તે આપવાને બદલે રણમાં ઊંટ ચરાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. વીડિયોમાં તે રડીને કહે છે કે તે રણમાં એકલો છે અને ખૂબ ડરી ગયો છે.
ઈન્દ્રજીતનો એવો પણ આરોપ છે કે પત્ની પિંકી અને સસરા રાજેશ સરોજના દબાણ હેઠળ વિદેશ આવ્યો હતો અને હવે તે વારંવાર માતા પાસે પાછા ફરવાની અપીલ કરી રહ્યો છે. તેના પિતા જયપ્રકાશ ભારતીય મિકેનિક તરીકે કામ કરે છે.
આ પણ વાંચો:બિહારમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ, અશોક ગેહલોતની જાહેરાત
પરિવારના અલગ-અલગ નિવેદનો
ઈન્દ્રજીતનો પરિવાર તેના આરોપોને સમર્થન નથી આપી રહ્યો. માતા રંજુ દેવીએ જણાવ્યું કે ‘ઈન્દ્રજીત પહેલી વાર વિદેશ ગયો છે, તેથી તે નવા વાતાવરણથી અસ્વસ્થતા અનુભવી રહ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તે બે વર્ષના વિઝા પૂર્ણ કર્યાં પછી પાછો ફરશે.
પત્ની પિંકીએ કહ્યું કે, ‘હું દરરોજ પતિ સાથે વાત કરુ છું. તે ક્યારેક ગુસ્સામાં અયોગ્ય વાતો કહે છે, પરંતુ તે તેને સોશિયલ મીડિયા પર આવા વીડિયો પોસ્ટ ન કરવાની સલાહ આપી.’ નોંધનીય છે કે ઈન્દ્રજીતના લગ્ન જૂન 2020માં થયા હતા અને તેને 3 વર્ષનો પુત્ર છે. તેમના ગયા પછી એક પુત્રીનો જન્મ થયો હતો.
હાલમાં ઈન્દ્રજીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જો કે, ઈન્દ્રજીત ખરેખર સાઉદી અરેબિયામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે કે પછી તેનું કારણ પારિવારિક છે, તે હવે તપાસનો વિષય છે.










