Madhavpur Fair, Porbandar : ગુજરાતના પોરબંદર નજીક માધવપુર ઘેડનો મેળો યોજાય છે. દર વર્ષે ચૈત્ર મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે રવિવાર (6 એપ્રિલ, 2025)થી ઘેડના મેળાની ભવ્ય શરુઆત કરવામાં આવી છે. આ મેળો આગામી 10 એપ્રિલ સુધી ચાલશે. જેમાં 8 એપ્રિલના રોજ શ્રી કૃષ્ણ-રુક્ષ્મણીજીના લગ્ન યોજાશે.
આજથી પાંચ દિવસ માધવપુરનો મેળો શરુ
સૌરાષ્ટ્રના દરિયા કિનારે પોરબંદર જિલ્લામાં આજે રવિવારથી માધવપુર મેળાની ભવ્ય શરુઆત કરવામાં આવી છે. આ મેળામાં ઉત્તર પૂર્વ તથા ગુજરાતના લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે. જેમાં મુલાકાતીઓને ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીની લગ્નકથા, ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીનો પ્રેમ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા મળશે. આ સાથે મેળામાં ગુજરાત સહિત ઉત્તર પૂર્વના રાજ્યોના હસ્તકલાના કારીગરોને સ્ટોલ આપીને ઉદ્યોગ સાહસિક બનાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી: 4 દિવસ રાજ્યના 9 જિલ્લામાં હીટવેવનું યલો-ઑરેન્જ ઍલર્ટ, કચ્છમાં રેડ ઍલર્ટ
પોરબંદરથી 46 કિલોમીટર દૂર પૌરાણિક ઐતિહાસિક અને વિરાસત ધરાવતું માધવપુર ગામ ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહનું સાક્ષી હોવાનું માનવામાં આવે છે. માધવપુર ઘેડ મેળામાં ચાર દિવસ બાદ પાંચમા દિવસે દ્વારકામાં માતા રુક્ષ્મણીનો સત્કાર સમારંભ ભવ્ય રીતે ઉજવાય છે.