![]()
– ગુજરાત-રાજસ્થાનની પાક. સરહદે સૈન્ય, એરફોર્સ, નેવીનો યુદ્ધાભ્યાસ
– 30 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી સરહદે એરસ્પેસ બંધ, સમુદ્રમાં જહાજો, રણમાં ટેન્કો પાક.ને શક્તિનો પરચો કરાવશે
નવી દિલ્હી : પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદૂરની સફળતા વચ્ચે સરહદે ભારતે ઓપરેશન ત્રિશૂળ હાથ ધર્યું છે. આ ઓપરેશન ત્રિશૂળ ભારતીય સૈન્યનો યુદ્ધાભ્યાસ છે જે ૧૦ નવેમ્બર સુધી ચાલશે. આ યુદ્ધાભ્યાસ પાકિસ્તાન સાથેની પશ્ચિમી સરહદે શરૂ કરાયો છે. આ યુદ્ધાભ્યાસમાં નેવી, એરફોર્સ અને સૈન્ય ત્રણેય દળ સામેલ થવાના હોવાથી તેને ત્રિશૂળ નામ અપાયું છે. આ અભ્યાસ સર ક્રીક-સિંધ-કરાચી કેન્દ્રીત રહેશે. હાલમાં ગુજરાત અને રાજસ્થાનના કેટલાક સરહદ પાસેના વિસ્તારોમાં એરસ્પેસ આ અભ્યાસ માટે બંધ કરી દેવામાં આવી છે.
સંરક્ષણમંત્રી રાજનાથસિંહે થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે જો સર ક્રીક સેક્ટર પર નજર કરી છે તો આક્રામક જવાબ આપવામાં આવશે. આ ચેતવણી વચ્ચે જ હવે સર ક્રીક આસપાસ યુદ્ધાભ્યાસની તૈયારી ચાલી રહી છે. જેને ધ્યાનમાં રાખીને નોટિસ ટુ એરમેન નોટામ જારી કરવામાં આવ્યું છે અને રાજસ્થાન તેમજ ગુજરાત સરહદ આસપાસની એરસ્પેસને ૩૦ ઓક્ટોબરથી ૧૦ નવેમ્બર સુધી ટાળવા સુચના અપાઇ છે.
બીજી તરફ પાકિસ્તાને પણ ૨૮થી ૨૯મી ઓક્ટોબર સુધી પોતાની મધ્ય અને દક્ષિણ વિસ્તારની એરસ્પેસ બંધ કરી દીધી છે. પાકિસ્તાન પણ કોઇ યુદ્ધાભ્યાસની તૈયારીમાં હોવાના અહેવાલો છે. આ યુદ્ધાભ્યાસમાં સૈન્યના ટેંક, રફાલ વિમાન, નેવી શિપ્સ વગેરેને પાકિસ્તાન સરહદે તૈનાત કરી દીધા છે. મુખ્ય યુદ્ધ ટેંક હોવિત્ઝર, હથિયારધારી હેલિકોપ્ટરો, મિસાઇલ સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે. ત્રિનેત્ર ડ્રિલ કરવામાં આવશે. રફાલ અને સુખોઇ વગેરેની મદદથી એરફોર્સ અભ્યાસ કરશે. નેવી દ્વારા ગુજરાતના દરમિયાન કિનારે મોટી સંખ્યામાં તૈનાતી કરવામાં આવી છે. આ ત્રણેય દળો દ્વારા સંયુક્ત રીતે આ યુદ્ધાભ્યાસ કરાશે જેમાં ગુજરાતના સમુદ્રી વિસ્તારથી લઇને રાજસ્થાનના રણ પ્રદેશનો સમાવેશ કરવામાં આવ્યો છે.










