![]()
– ભીડવાળા ચાંદની ચોક વિસ્તારમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસેથી પસાર થતી કારમાં તીવ્ર ધડાકો થયો
– દિલ્હી નજીક સવારે મળેલા વિસ્ફોટકો અને બ્લાસ્ટ સાથે સંબંધ હોવાની અટકળો, આંતકી હુમલો છે કે નહીં તેની સ્પષ્ટતા કરાઇ નથી
– ફોરેન્સિકની ટીમ, એનઆઇએ- એનએસજી સહિતની એજન્સીઓના અધિકારીઓ ઘટના સ્થળે પહોંર્ચ્યા
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં એક મોટો વિસ્ફોટ થયો હતો જેમાં ૧૦ લોકો માર્યા ગયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ સાથે જ અનેક કારોને નુકસાન પહોંચ્યું છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક કારમાં આ વિસ્ફોટ થયો હતો. જેનો ધમાકો એટલો તિવ્ર હતો કે દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો, જોકે આ ખરેખર બોમ્બ બ્લાસ્ટ છે કે કેમ તે અંગે પોલીસે કોઇ જ જાણકારી નથી આપી. સોમવારે સાંજે થયેલા આ વિસ્ફોટ બાદ સમગ્ર દિલ્હીને એલર્ટ કરી દેવામાં આવ્યું છે જ્યારે દેશના અન્ય મોટા શહેરોમાં પણ પોલીસ સતર્ક થઇ ગઇ હતી.
દિલ્હી પોલીસ કમિશનર સતિષ ગોલચાએ કહ્યું હતું કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર ૧ એક કાર સાંજે ૬.૫૨ કલાકે ટ્રાફિક સિગ્નલની રેડ લાઇટ તરફ આગળ વધી રહી હતી, તે સમયે જ મોટો વિસ્ફોટ થઇ ગયો હતો. આ વિસ્ફોટ એટલો ઘાતક હતો કે મુખ્ય કાર તો બળીને ખાખ થઇ જ ગઇ હતી સાથે આસપાસની કેટલીક કારને પણ લપેટમાં લઇ લીધી હતી. ચારથી પાંચ કારો સંપૂર્ણ ખાખ થઇ ગઇ હતી. આ વિસ્ફોટમાં ૧૦ લોકો માર્યા ગયા છે જ્યારે ૨૦થી વધુ લોકો ઘાયલ થઇ ગયા છે, જેમાંથી કેટલાકને ગંભીર ઇજા પહોંચી છે.
દિલ્હી નજીકથી ૨૯૦૦ કિલો વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી તે જ દિવસે દિલ્હીમાં આ વિસ્ફોટ થયો છે. જે વિસ્તારમાં આ વિસ્ફોટ થયો છે તેને ચાંદની ચોક તરીકે પણ ઓળખવામાં આવે છે જે સૌથી ભીડવાળો વિસ્તાર માનવામાં આવે છે. ઘટનાને પગલે આ સમગ્ર વિસ્તારને મંગળવાર સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. જે સ્થળે આ ઘાતક વિસ્ફોટ થયો છે ત્યાં ફોરેંસિક ટીમ પણ પહોંચી ગઇ છે જ્યારે તપાસ એજન્સી એનઆઇએ સહિતની એજન્સીઓ પણ હાજર છે, ગૃહમંત્રીએ દિલ્હી પોલીસ સાથે વાતચીત કરી હોવાનું પણ પોલીસ કમિશનર સતિષે કહ્યું હતું. જ્યારે સીઆરપીએફના ડીઆઇજી કિશોર પ્રસાદે આ વિસ્ફોટ અંગે હાલ કઇ કહી શકાય તેમ નથી. હું સ્થળ પર જઇ રહ્યો છું.
પીએમ મોદીએ ગૃહમંત્રી સાથે વાત કરી રિપોર્ટ માગ્યો
એવા અહેવાલો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની સાથે વાતચીત કરી છે અને સમગ્ર ઘટનાની વિગતો માગી છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના મુખ્યમંત્રી અને પોલીસ કમિશનર સાથે વાત કરી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. ફાયર વિભાગને સાંજે ૬.૫૫ વાગ્યે વિસ્ફોટ અને આગ અંગે જાણકારી મળી હતી. જે બાદ અનેક ફાયર ફાઇટર્સ વાહનો પહોંચી ગયા હતા અને સ્થિતિને કાબુમાં લઇ લીધી હતી. વિસ્ફોટ એટલો ઘાતક હતો કે સ્ટ્રીટ લાઇટો બંધ થઇ ગઇ હતી અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.
સ્થળ પર કોઇ ખાડો નહી, ઘાયલોમાં છરાના નિશાન નથી : પોલીસ અધિકારી
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના સ્થળે કોઇ પણ પ્રકારનો ઘાડો નથી જોવા મળ્યો, તેથી કહી ના શકાય કે આ ખરેખર બોમ્બ બ્લાસ્ટ હતો કે કેમ. એટલુ જ નહીં લોકો છરા વાગવાને કારણે ઘાયલ થયા હોય તેવા પણ કોઇ રિપોર્ટ નથી, આઇઇડી વિસ્ફોટમાં છરા હોય છે જેનાથી ઘાયલ થવાની શક્યતાઓ હોય છે જોકે આ વિસ્ફોટમાં તેવુ કઇ નથી તેમ આ અધિકારીએ દાવો કર્યો હતો. જે કારમાં વિસ્ફોટ થયો તેમાં બેથી ત્રણ લોકો સવાર હતા. હાલ ફોરેંસિક ટીમ સેમ્પલ કલેક્ટ કરી રહી છે. આ આતંકી હુમલો છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા કોઇ જ સ્પષ્ટતા કરવામાં નથી આવી ના કોઇ આતંકી સંગઠને આ વિસ્ફોટ અંગે કોઇ જવાબદારી સ્વીકારી છે. તેથી આ વિસ્ફોટને લઇને રહસ્ય ઘેરાઇ રહ્યું છે.
આસપાસ શરીરના અંગો પડયા હતા, આકાશ લાલ થઇ ગયું હતું
નવી દિલ્હી: લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટના સાક્ષી બનેલા કેટલાક લોકોએ આપવીતી વર્ણવી હતી. અમિત મુદગલે કહ્યું હતું કે હું કોઇ સાથે વાત કરી રહ્યો હતો એવામાં અચાનક મારી પાછળ એક પુરુષનો હાથ ઉડીને મારી પાસે પડયો. આ બહુ જ મોટો ધમાકો હતો. તમામ લોકો ડરી ગયા હતા અને આમતમે ભાગી રહ્યા હતા. આકાશ લાલ દેખાતું હતું.
વિસ્ફોટમાં ઘાયલ અન્ય એક વ્યક્તિએ કહ્યું હતું કે પાર્ક કરાયેલી કારમાં વિસ્ફોટ થયો હોય તેમ લાગ્યું, જ્યારે એક ઓટો રિક્ષા ચાલકે કહ્યું હતું કે મારી રિક્ષાની આગળ જ કાર ચાલી રહી હતી ને અચાનક બ્લાસ્ટ થઇ ગયો હતો. આ બ્લાસ્ટ કેમ થયો તે મને નથી ખબર. એક સ્થાનિકે કહ્યું હતું કે હુ ગુરૂદ્વારા પર હતો ત્યારે વિસ્ફોટનો તિવ્ર અવાજ સંભળાયો હતો, એટલો તિવ્ર અવાજ હતો કે અમને કઇ જ સમજાયુ નહીં. એક દુકાનદારે કહ્યું હતું કે વિસ્ફોટ એટલો ઘાતક હતો કે જે આખી ઇમારત હચમચાવી નાખે. અન્ય એક લોડિંગ વાહન ચલાવનાર સાક્ષી ભુપિન્દરસિંહે કહ્યું હતું કે ટ્રાફિક સિગ્નલની લાઇટ ગ્રીન થતા જ વિસ્ફોટ થયો હતો. અચાનક બારીનો કાચ તુટી ગયો અમે વાહન મુકીને માર્કેટમાં ભાગી ગયા. આ દરમિયાન અમે બેથી ત્રણ લોકોના શરીરના ટુકડા પણ જોયા.










