![]()
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે તેના કારણે સુરત પાલિકા તંત્ર વ્યસ્ત થઈ ગયું છે જેના કારણે સુરતીઓના સામાન્ય સમસ્યા બાજુએ મૂકી દેવામા આવી છે. હવે સાહેબની મુલાકાત પૂરી થઈ છે ત્યારે સૂરતીઓ કહી રહ્યાં છે કે સાહેબ તો ગયા હવે સુરતીઓની સમસ્યાનો હલ તો લાવો. સુરતના ઉધના રોડ નંબર છ પર ચાર દિવસથી પાણીની લાઈન લીકેજ થઈ રહી છે અનેક ફરિયાદ છતાં પણ લાઈન રિપેર ન કરાતા હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે.
ગુજરાતમાં વડાપ્રધાનની મુલાકાત હતી અને તેઓ સુરતથી આગમન કરવાના હતા જેના કારણે પાલિકા સહિતનું તંત્ર એલર્ટ થઈ ગયું હતું. છેલ્લા કેટલાક દિવસથી પાલિકા તંત્ર અન્ય ફરિયાદના નિકાલના બદલે માત્ર સાહેબના રુટની કામગીરી કરી રહ્યું હતું. આ ઉપરાંત હાલમાં જ મુખ્યમંત્રીએ શહેરના રસ્તા રીપેર તાકીદ કરતા રસ્તા રીપેરની કામગીરી મોટા ઉપાડે થઈ રહી છે. જોકે, આ કામગીરીમાં સુરતમાં સફાઈ અને ડ્રેનેજ પાણીની સમસ્યા કોરણે મુકાઈ હોવાની ફરિયાદ થઈ રહી છે.
છેલ્લા ચારેક દિવસથી ઉધના રોડ નંબર 6 પર પાણીની લાઈન લીકેજ થઈ રહી છે આ માટે સ્થાનિકો દ્વારા અનેક ફરિયાદ કરવામાં આવી છે. જોકે, તંત્ર અન્ય કામગીરીમાં વ્યસ્ત હોવાથી સ્થાનિકોની ફરિયાદનો નિકાલ આવતો નથી. સમસ્યા ના નિકાલ ના બદલે બેરીકેટ મુકી દીધા છે. પાલિકા તુટેલી લાઈન રિપેર કરવાની કામગીરી કરતી ન હોવાથી રોજ હજારો લીટર પીવાનું પાણી રોડ પર વેડફાઈ રહ્યું છે. લોકો કહે છે, હવે સાહેબ જતા રહ્યા હવે તો આવી સમસ્યાનો નિકાલ કરો નહીં તો હજી હજારો લીટર પાણીનો વેડફાટ થશે.










