![]()
Lalu Yadav’s First Reaction Rohini Acharya Case: બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ લાલુ પ્રસાદ યાદવનો પરિવાર વિખેરાઈ ગયો છે. લાલુની દીકરી રોહિણી આચાર્યએ પોતાના ભાઈ તેજસ્વી યાદવ અને તેમના સલાહકાર સંજય યાદવ પર ગંભીર આરોપો લગાવતા ઘર છોડી દીધું છે. હવે આ મામલે રાષ્ટ્રીય જનતા દળ (RJD) પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદે સોમવારે પાર્ટીના કાર્યકર્તાઓને પાર્ટીની એકતા અને પ્રદર્શનમાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી છે.
પરિવારમાં અંદરોઅંદર વિવાદ મુદ્દે લાલુ યાદવની પ્રથમ પ્રતિક્રિયા
પટનામાં પાર્ટીના ધારાસભ્યોની બેઠકમાં લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, આ એક આંતરિક પારિવારિક મામલો છે અને પરિવારમાં જ તેનો ઉકેલ લાવવામાં આવશે. હું તેને સંભાળવા માટે હાજર છું. બેઠકમાં સર્વાનુમતે તેમના નાના દીકરા તેજસ્વી યાદવને RJD ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા.
રોહિણી આચાર્યની રાજકારણ છોડવાની અને પરિવાર સાથે સબંધ તોડવાની જાહેરાત
લાલુ પ્રસાદની આ પ્રતિક્રિયા તેમની દીકરી રોહિણી આચાર્યની સોશિયલ મીડિયા પર પરિવારની કડવાશ અંગેની પોસ્ટની પૃષ્ઠભૂમિમાં આવી છે, જેમાં તેમણે શનિવારે રાજકારણ છોડવાની જાહેરાત કરી અને કહ્યું હતું કે, મેં મારા પરિવાર સાથે સબંધ તોડી નાખ્યો છે. 46 વર્ષીય રોહિણીએ પોતાના નિર્ણય માટે પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય યાદવ અને તેજસ્વી યાદવના સહાયક રમીઝને જવાબદાર ગણાવ્યા હતા, કારણ કે રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં RJD માત્ર 25 બેઠકો જીતી શકી હતી, જે એક દાયકામાં બિહાર ચૂંટણીમાં પાર્ટીનું સૌથી ખરાબ પ્રદર્શન હતું.
આ પણ વાંચો: હાર બાદ RJDની મીટિંગમાં ભાવુક થયા તેજસ્વી યાદવ! કહ્યું- હું પાર્ટી જોઉં કે પરિવાર
બેઠકમાં હાજર પાટલીપુત્રના સાંસદ મીસા ભારતીએ પત્રકારોને કહ્યું કે, તેમણે પારિવારિક મુદ્દાઓ કરતાં NDAના વાયદાઓ જેમ કે 1 કરોડ નોકરીઓ, જીવિકા દીદીઓને 2-2 લાખ રૂપિયાની સહાય અને બિહારમાં ઔદ્યોગિક વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ બાબતો પરિવારોમાં થતી રહે અને વાતચીત દ્વારા તેનો ઉકેલ આવી જાય છે. તેમણે રોહિણી આચાર્ય દ્વારા પરિવારની સંપત્તિ પર કબજો કરવાની બાબતોને ફગાવી દેતા કહ્યું કે, ED અને CBI તપાસ ચાલુ હોવાથી પ્રસાદની સંપત્તિ તપાસના દાયરામાં છે. આ સમયે અમે પાર્ટીને મજબૂત કરવા અંગેન મુદ્દા પર વિચાર કરી રહ્યા છીએ.
તેજ પ્રતાપ યાદવે તેજસ્વી યાદવની આકરી ટીકા કરી
2 ઓગસ્ટના રોજ RJDમાંથી હાંકી કાઢવામાં આવેલ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે તેજસ્વી યાદવની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે, રોહિણીનું આ પ્રકારનું અપમાન આપણા વારસાને બર્બાદ કરી દેશે. પાર્ટી અને પરિવારમાંછી હાંકી કાઢ્યા બાદ તેમણે જનશક્તિ જનતા દળની રચના કરી અને વિધાનસભા ચૂંટણી લડી પરંતુ હારી ગયા. પ્રસાદના સાળા સાધુ યાદવે પણ તેજસ્વીના અહંકારની નિંદા કરી અને રોહિણી સાથેના વર્તનને અન્યાયી ગણાવ્યું તથા તેમના વિશ્વાસઘાતી સાથીઓને હટાવવાની માગ કરી.
આ પણ વાંચો: તેજ પ્રતાપ અને રોહિણીએ સંબંધ તોડ્યા, બીજી ત્રણ બહેનોએ પણ ઘર છોડ્યું: લાલુ યાદવનો પરિવાર વિખેરાયો
પારિવારિક લડાઈ RJD માટે અસ્તિત્વનો ખતરો!
લાલુ પ્રસાદ યાદવના સ્વાસ્થ્યને કારણે તેમની ભૂમિકા મર્યાદિત થઈ ગઈ હોવાથી પારિવારિક લડાઈ RJD માટે અસ્તિત્વનો ખતરો બની શકે છે, જેના મુસ્લિમ-યાદવ મત આધારમાં પહેલાથી જ તિરાડ પડી ગઈ છે. દિલીપ જયસ્વાલ જેવા ભાજપના નેતાઓએ આ વિવાદનો લાભ ઉઠાવ્યો, તેને લાલુની પિતૃસત્તાત્મક માનસિકતાનો પુરાવો ગણાવ્યો, જોકે રોહિણી આચાર્યએ પોતાના પિતાને કિડની દાન કરવામાં ઉદારતા દેખાડી હતી. 1990થી 2005 સુધી બિહાર પર શાસન કરનાર અને 2015થી 2017 અને 2022થી 2024 સુધી નીતિશ કુમારની જનતા દળ (યુનાઈટેડ) સાથે સત્તા શેર કરનાર લાલુ પરિવાર હાલમાં મીડિયામાં ચર્ચામાં છે.










