![]()
– ઉતરસંડા ડેરી પાસે મનપાની ઘોર બેદરકારી
– સપ્તાહથી ખુલ્લી ગટર હોવા છતાં પણ મનપા કામગીરી નહીં કરતા સ્થાનિક લોકોને હાલાકી
નડિયાદ : નડિયાદમાં ઉતરસંડા ડેરી પાસે એક અઠવાડિયાથી ખુલી ગટરમાં ભૂવો પડયો છે, જે મામલે સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો કરવા છતા મહાપાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી ન હતી. તંત્રની બેદરકારીના કારણે સવારે એક બાળક ખાડામાં પડયાં બાદ બપોરે એક ગાય પણ ખાબકી હતી.
નડિયાદમાં ઉતરસંડા ડેરી નજીક જાહેર માર્ગ પર ગટરનો મોટો ભૂવો પડયો છે, જે છેલ્લા ૧ અઠવાડિયાથી ખુલ્લો હોવાથી જોખમી બન્યો છે. આ અંગે સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકાને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. પાલિકાની બેદરકારીના કારણે આજે એક જ દિવસમાં બે અકસ્માત સર્જાયા છે. સવારના સમયે એક બાળક આ ખુલ્લા ખાડામાં પડયા બાદ બપોરના સમયે એક ગાય પણ તેમાંં ખાબકી હતી.
જયારે બાળકને બચાવી લેવામાં આવ્યું હતું.
ગાયને ગૌ પ્રેમી યુવકો ભારે જહેમત બાદ બહાર કાઢ્યું હતું. વારંવાર બનતી આવી ઘટનાથી મહાપાલિકાની કામગીરી પર સવાલો પેદા થઈ રહ્યાં છે.










