Image Source: IANS
Rahul Gandhi News: કોંગ્રેસે અલગ-અલગ રાજ્યોમાં મતદાર યાદીના SIRના કામમાં સામેલ બુથ લેવલના અધિકારીઓ(BLO)ના મોતનો મુદ્દો ઉઠાવ્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ X પર લખ્યું છે કે, મતદાર યાદીના SIRના નામ પર દેશભરમાં અફરાતફરી મચાવી દીધી છે.
રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘SIRની પ્રક્રિયાને થોપવામાં આવેલો જુલમ અને લોકોને હેરાન કરવા માટેનું ઇરાદાપૂર્વકનું કાવતરું છે. બિનજરૂરી દબાણને કારણે BLO ના મૃત્યુને “કોલેટરલ ડેમેજ” તરીકે અવગણવામાં આવી રહ્યું છે. ત્રણ અઠવાડિયામાં 16 BLOએ પોતાના જીવ ગુમાવ્યા છે. હાર્ટ એટેક, તણાવ, આત્મહત્યા – SIR એ કોઈ સુધારો નથી, તે લાદવામાં આવેલો જુલમ(અન્યાય) છે.’
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે લખ્યું કે ચૂંટણી પંચે એક એવી પ્રક્રિયા બનાવી છે જેમાં લોકોને તેમના નામ શોધવા માટે 22 વર્ષ જૂની મતદાર યાદીઓના હજારો સ્કેન કરેલા પાના ઉલટાવવા પડે છે. તેમણે આરોપ લગાવ્યો, ‘હેતુ સ્પષ્ટ છે- સાચા મતદારો થાકીને હારી જાય અને વોટ ચોરી વગર રોક ટોકે ચાલુ રહે.’
આ પણ વાંચો: SIRની કામગીરી શંકાના ઘેરામાં, કોરા ફોર્મ સહી સાથે પરત કરવા સૂચના! પછી ખરાઈ કેવી રીતે થશે?

ચૂંટણી પંચના ઇરાદા પર પ્રશ્ન ઉઠાવ્યો
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ભારત વિશ્વ માટે અત્યાધુનિક સોફ્ટવેર વિકસાવે છે, પરંતુ ચૂંટણી પંચ હજુ પણ કાગળોનું જંગલ બનાવવા માટે લાગેલું છે. જો ઇરાદા સ્પષ્ટ હોત, તો યાદી ડિજિટલ ફોર્મેટમાં હોત, સરળતાથી શોધી શકાય તેવી અને મશીન દ્વારા વાંચી શકાય તેવી હોત અને ચૂંટણી પંચે 30 દિવસની અંદર પ્રક્રિયા પૂર્ણ કરવાને બદલે પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે સમય કાઢ્યો હોત.’
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘SIR એ લોકોને હેરાન કરવા માટે ઇરાદાપૂર્વકની ચાલ છે. સત્તા બચાવવા માટે લોકશાહીનું બલિદાન આપવામાં આવી રહ્યું છે.’
આ પણ વાંચો: ‘બિહારની ચૂંટણીમાં ગડબડ થઈ, પરંતુ નક્કર પુરાવા નથી’, પાર્ટીની હાર પર પ્રશાંત કિશોરનો ગંભીર આરોપ










