![]()
UP Jaunpur shocking incident : ઉત્તર પ્રદેશના જૌનપુરમાં કળિયુગી પુત્રની નિષ્ઠુરતા જોઈ વૃદ્ધાશ્રમ ચલાવતા લોકો અચંબિત થઈ ગયા. મૂળ ગોરખપુરના શોભાદેવી જૌનપુરના વૃદ્ધાશ્રમ રહેતા હતા. બીમારીના કારણે તેમનું નિધન થયું. જ્યારે આ સમાચાર આપવા પુત્રનો સંપર્ક કરાયો તો તેણે જવાબ આપ્યો કે મૃતદેહ ચાર દિવસ ડીપ ફ્રીઝરમાં મૂકી દો. અમારા ઘરમાં લગ્ન પ્રસંગ છે. જો મૃતદેહ ઘરમાં લાવીશું તો અપશુકન થશે. લગ્ન થઈ જાય પછી હું આવીશ.
જોકે બાદમાં શોભાદેવીના પતિએ અન્ય સગા સંબંધીઓનો સંપર્ક કર્યો અને મૃતદેહ કોઈ ક્રિયા વિના દાટી દેવામાં આવ્યો. સગા સંબંધીઓનું કહેવું છે કે ઘરમાં પ્રસંગ સમાપ્ત થઈ જાય પછી મૃતદેહ બહાર કાઢી વિધિ સાથે અંતિમ સંસ્કાર કરીશું.
બે ટંક ભોજન માટે જ્યાં ત્યાં રખડતાં હતા વૃદ્ધ દંપત્તિ
નોંધનીય છે કે ભુઆલ ગુપ્તા કરિયાણાની દુકાન ચલાવતા હતા. તેમના કુલ ત્રણ પુત્ર અને ત્રણ પુત્રીઓ હતી. જોકે પારિવારિક વિવાદ બાદ પુત્રોએ માતા પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા. પિતા આપઘાત કરવા જઈ રહ્યા હતા જોકે અન્ય લોકોએ સમજાવતા બંને વૃદ્ધ પતિ પત્ની અયોધ્યા અને મથુરામાં ગયા. જોકે ખાવા પીવાની તકલીફ થતાં તેઓ એક વૃદ્ધાશ્રમમાં આશરો લઈને રહેતા હતા.
પત્નીના નિધન બાદ વૃદ્ધ પતિએ જ્યારે પુત્રોને ફોન કર્યો તો બધા એક બીજા પર જવાબદારી ઢોળવા લાગ્યા. મૃતદેહ ગોરખપુર પહોંચ્યો તો સૌથી મોટા દીકરાએ તેને જમીનમાં દાટી દીધો અને કહ્યું કે 4 દિવસ પછી કાઢીને અંતિમ વિધિ કરી દઇશું. નિઃસહાય વૃદ્ધનું કહેવું છે કે 4 દિવસમાં મારી પત્નીના શરીરમાં જીવડા પડી ગયા હશે!










