![]()
India vs South Africa Test Match : ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાના બોલરો બાદ બેટરો પણ બેકફૂટ પર આવી ગયા છે. આફ્રિકાની ટીમે પ્રથમ ઇનિંગમાં 489 રન નોંધાવ્યા છે, જેના જવાબમાં ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં માત્ર 201 રનમાં ઓલઆઉટ થઈ જતાં આફ્રિકાએ 288 રનની લીડ મેળવી લીધી છે. આ મેચમાં આફ્રિકાના બેટરો બાદ બોલરોએ પણ દમદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 30 રને પરાજય આપ્યો હતો. હવે ટીમ ઇન્ડિયા પર બીજી ટેસ્ટ મેચ હારવાનું પણ જોખમ તોડાઈ રહ્યું છે. ટીમ ઇન્ડિયાની શરમજનક સ્થિતિ બાદ પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કોચ ગૌતમ ગંભીરની આકરી ઝાટકણી કાઢી છે.
ટીમ ઇન્ડિયાની સિલેક્શન-બોલિંગ-બેટિંગ-રણનીતિમાં ખામી
પ્રથમ ટેસ્ટ મેચ બાદ બીજી ટેસ્ટ મેચમાં પણ ટીમ ઇન્ડિયાના બેટરોએ બેટિંગમાં દાટ વાળ્યો છે. પ્રથમ ટેસ્ટ મેચમાં આઠ વિકેટ લેનાર સાઇમન હાર્મર અને બીજી ટેસ્ટ મેચમાં 6 વિકેટ લેનાર માર્કો જોનસની દમદાર બોલિંગ સામે ટીમ ઇન્ડિયાના બેટરો ધડાધડ આઉટ થઈ ગયા છે. બીજી ટેસ્ટમાં ભારતના બોલરો પણ સંઘર્ષ કરતાં જોવા મળ્યા છે. આ મેચો જોતા ટીમ ઇન્ડિયા શરમજનક સ્થિતિમાં મૂકાયું છે, પરંતુ આની પાછળ માત્ર બોલિંગ અને બેટિંગ જ નહીં, ટીમની રણનીતિ અને સિલેક્શનમાં થયેલી ભૂલો પણ જવાબદાર છે.
‘વોશિંગ્ટનને માત્ર એક જ ઓવર અપાઈ’
ભારતીય ટીમની શરમજનક સ્થિતિ અંગે પૂર્વ કોચ રવિ શાસ્ત્રી(Ravi Shastri)એ કોચ ગૌતમ ગંભીર(Gautam Gambhir)ના નિર્ણયો પર સવાલ ઉઠાવ્યો છે. શાસ્ત્રીએ કહ્યું કે, ‘કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વોશિંગ્ટન સુંદર(Washington Sundar)ને માત્ર એક ઓવર અપાઈ હતી, તેને ત્રીજા નંબરે બેટિંગ કરવા મોકલાયો હતો. પ્રથમ ટેસ્ટ મેચમાં ચાર સ્પિનર્સ હતા, જેમાં સુંદરને બોલિંગ જ અપાઈ ન હતી.’
આ પણ વાંચો : IND vs SA : સાઉથ આફ્રિકા સામે બોલર્સ બાદ ભારતના બેટર્સ પણ ફુસ્સ, વ્હાઈટવૉશનો ખતરો
આવા નિર્ણયો કેવી રીતે લેવાયા : શાસ્ત્રી
શાસ્ત્રીએ બીજી ટેસ્ટ મેચમાં કોમેન્ટ્રીમાં કહ્યું કે, ‘જો અક્ષર પટેલ (Akshar Patel) અને વોશિંગ્ટન સુંદર પાસે બેટિંગની અપેક્ષા રાખવામાં આવે અથવા તેઓને બોલિંગ ઓછી આપવાની હોય તો તે બંનેમાંથી એકના સ્થાને વધુ એક બોલરને રમાડવાની જરૂર હતી. કોચ તરીકે મને સમજાતું નથી કે, આવો નિર્ણય કેમ કરાયો. કોલકાતામાં એક સ્પિનરે માત્ર એક ઓવર ફેંકી. આવી સ્થિતિમાં એક સ્પેશ્યાલિસ્ટ બોલરને ટીમમાં રમાડવો વધુ યોગ્ય હોત. પ્રથમ ટેસ્ટ મેચમાં વોશિંગ્ટન સુંદરને ત્રીજા ક્રમાંકે બેટિંગ કરવા મોકલાયો હતો, ત્યારે બીજી ટેસ્ટ મેચમાં પણ તેના પર વિશ્વાસ રાખવાની જરૂર હતી. શુભમન ગીલ ઈજાગ્રસ્ત હોવાથી સાઈ સુદર્શનને સામેલ કરવામાં આવ્યો છે. સુદર્શનને ચોથા નંબર પર મોકલવાની જરૂર હતી, કારણ કે તેણે પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 29 રન અને બીજી ઇનિંગમાં 31 રન નોંધાવ્યા હતા. તેમ છતાં બીજી ટેસ્ટ મેચમાં તેને આઠમા ક્રમાંકે ઉતારવામાં આવ્યો.’
ટીમની પસંદગીમાં, બેટિંગ ક્રમાંકમાં, રણનીતિમાં ખામી
રવિ શાસ્ત્રીએ સ્પષ્ટ કહ્યું કે, ‘વોશિંગ્ટન સુંદર આઠમા ક્રમાંકનો ખેલાડી નથી, તે ખૂબ જ સારું રમે છે, તેથી તેને ત્રીજા ક્રમાંકે મોકલવાની જરૂર છે. પ્રથમ ટેસ્ટ મેચમાં સુંદરે 48 રન નોંધાવ્યા હતા. આ તમામ બાબતોથી હું એવું કહીશ કે, ટીમની પસંદગીમાં ખામી, કયા ખેલાડીને કયા ક્રમે બેટિંગમાં મોકલવો તેમાં ખામી અને ટીમની ખરાબ રણનીતિના કારણે મુશ્કેલીઓમાં વધારો થયો છે.’ આમ રવિ શાસ્ત્રીના કહેવા મુજબ આગામી સમયમાં ભારતીય ટીમની સિલેક્શન કામગીરી, બોલરોનો નબળો દેખાવ, બેટરોના બેટિંગ ક્રમાંકમાં ખામી અને ટીમની ખરાબ રણનીતિ ભારતીય ટીમ માટે એક મોટી મુશ્કેલી બની શકે છે.
આ પણ વાંચો : IND vs SA: આ ખેલાડી સામે ભારતના ધુરંધરો ફેલ! પહેલા 93 રનની ઈનિંગ પછી 6 વિકેટ ખેરવી










