Bihar Election and Nitish Kumar News | બિહાર વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નિવેદનબાજી વધતી જઇ રહી છે. આ દરમિયાન ભાજપથી નારાજ ચાલતા પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ નીતિશ કુમાર અંગે એક મોટી માગ કરતાં ભાજપને વિચારતો કરી દીધો છે.
અશ્વિની ચૌબેએ શું કરી માગ?
તેમણે નીતિશ કુમારને કેન્દ્ર સરકારમાં મોટી જવાબદારી સોંપવાની માગ કરી છે. અશ્વિની ચૌબેએ કહ્યું કે દેશના પીએમ મોદી છે, બિહારમાં રામ-લક્ષ્મણની જોડી છે. નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી છે અને તેમને હવે 20 વર્ષ થઈ ચૂક્યા છે સીએમ તરીકે એટલે નીતિશ કુમારનો હોદ્દો હવે સીએમ કરતાં પણ મોટો થઈ ગયો છે. અશ્વિની ચૌબેએ કહ્યું કે નીતિશ કુમાર અને મોદીની જોડી દેશને દિશા આપી રહી છે. એનડીએનું લક્ષ્ય બિહારમાં 2025ની ચૂંટણી જીતવાનું છે અને મને લાગે છે કે બિહારની ઈચ્છા છે કે નીતિશ કુમારને દેશના ઉપ વડાપ્રધાન બનાવી દેવા જોઇએ.
જેડીયુનું રિએક્શન સામે આવ્યું
જેડીયુ નેતા અભિષેક ઝાએ પણ કહ્યું કે બધાને બોલવાની આઝાદી છે. અશ્વિની ચૌબેએ તેમના મનની વાત કરી છે પણ બિહારની પ્રજાને નીતિશ કુમારનો ચહેરો પસંદ છે. તેમણે બિહારના લોકોની સેવા કરી છે. બિહારની પ્રજા ફરી નીતિશ કુમારના ચહેરા પર વોટિંગ કરે અને બિહાર ચૂંટણીમાં એનડીએનું નેતૃત્વ નીતિશ કુમાર જ કરશે.