![]()
– આમુર નદી અને અલતાઈશાન વિસ્તાર પ્રત્યે નિર્દેશ : નિરીક્ષકો
– રશિયા અને ભારતે કેટલાયે ‘અપ-ડાઉન’ જોયા છે : બંને દેશોના સંબંધો મહત્ત્વના રહ્યા છે : રશિયાના ચીન અને યુરોપીય દેશોના સંબંધો ઉપર નીચે રહ્યા છે
નવી દિલ્હી : ભારતના વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે આજે શનિવારે કહ્યું હતું કે, રશિયાના પ્રમુખ પુતિનની હમણાં જ સંપન્ન થયેલી બે દિવસની ભારત યાત્રા વાસ્તવમાં બંને દેશો વચ્ચેના સંબંધોને નવી રીતે પરિભાષિત કરવા માટેની હતી.
એચ.ટી. સમિટમાં એનડીટીવીના સીઇઓ અને એડિટર ઇન ચીફ રાહુલ કંવલ સાથેની ખાસ વાતચીત દરમિયાન એસ. જયશંકરે કહ્યું કે, ગત ૭૦- ૮૦ વર્ષ દરમિયાન દુનિયાએ અનેક ચઢાવ- ઉતાર જોયા છે મેં પહેલા પણ કહ્યું હતું અને આજે પણ ફરી કહું છું કે, ભારત- રશિયા સંબંધો દુનિયાના સૌથી સ્થિર સંબંધો પૈકીના એક છે. કોઈ પણ દેશ અમારા સંબંધો પર ‘વીટો’ કરી શકે તેમ નથી.
વૈશ્વિક સહકાર ચૂંટવામાં સહકારનું મહત્ત્વ દર્શાવતા જયશંકરે કહ્યું હતું કે, ‘જીયો પોલિટિકલ ચઢાવ- ઉતાર ભરેલી દુનિયામાં મોસ્કો સાથેના નવી દિલ્હીના સંબંધો સૌથી વધુ સ્થિર રહ્યા છે. કોઈ પણ દેશ સાથે ભારત સંબંધો બાંધે તેની ઉપર અન્ય કોઈ દેશ ‘વીટો’ વાપરી શકે તેમ નથી.’
તેઓએ કહ્યું હતું કે, ‘અમેરિકા સાથે ૮૦- ૯૦ના દશકમાં અને સન ૨૦૦૦ આસપાસ અમારા આર્થિક સંબંધો વધ્યા પરંતુ સંરક્ષણ અને સલામતી ક્ષેત્રમાં તેવું ન થયું. હજી સુધી ‘ન્યુક્લિયર ડીલ’ થઈ શકી નથી. કેટલાયે યુરોપીય દેશો સાથે પણ અમારા સંબંધો સારા રહ્યા છે પરંતુ તેઓ ચીનને ‘પ્રાયમરી પાર્ટનર’ માને છે છતાં ય આર્થિક સંબંધો તેટલા પૂરા લાગતા નથી જ્યારે આપણે ભારતીય રશિયા સંબંધો જોઈએ તો સંરક્ષણ, સહકાર ભારત અને રશિયા વચ્ચેની મહત્ત્વની કડી છે.’
તેઓએ કહ્યું : ‘રશિયા અને ભારતે ઘણાં અપ-ડાઉન જોયા છે. બંને દેશો વચ્ચેના સંબંધો મહત્ત્વના જ રહ્યા છે. જ્યારે રશિયાના ચીન અને યુરોપના દેશોના સંબંધોમાં ઘણા ચઢાવ ઉતાર આવ્યા છે. વિદેશ નીતિ કોઈ ફિલ્મથી જુદી હોય છે. પુતિનનું ભારત આવવું મહત્ત્વનું હતું જ પરંતુ તેથી પણ વધુ મહત્ત્વનું તે છે કે દિલ્હી- મોસ્કો વચ્ચે શું થયું ? બંને દેશોના સંબંધો સારા જ રહ્યા છે બંને પોતપોતાની રીતે સંબંધો મજબૂત બનાવે છે. કોઈ પણ દેશ અમારા સંબંધો પર ‘વીટો’ વાપરી શકે તેમ નથી આ રીતે તેઓનો ઇશારો અમેરિકા તરફ હતો જેમાં રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ટ્રમ્પે ભારત ઉપર ભારે ટેરિફ લગાડયા છે.’
નિરીક્ષકો માને છે કે, રશિયા હવે ચીન કરતા પણ ભારતને વધુ મહત્ત્વ આપે છે તેનું કારણ તે છે કે, ચીને રશિયા સાથે આમુર નદીના પૂર્વ તટ ઉપર છેક મુખપ્રદેશ સુધી દાવો કર્યો છે. રશિયાના પૂર્વના વિસ્તારમાં આવેલા આ પ્રદેશમાં જ રશિયાનું એકમાત્ર પૂર્વનું બારમાસી બંદર વ્લાડીવોસ્ટોક આવેલું છે. બીજી તરફ ચીને તેના પશ્ચિમ ઉત્તર પ્રાંતના છેડે આવેલી અલતાઇશાન પર્વતમાળાને સ્પર્શીને રહેલા રશિયાના નેતૃત્વ નીચેના કોમનવેલ્થ ઑફ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટસ (સી.આઇ.એસ.) દેશો સાથે સરહદી વિવાદ ઉભો કર્યો છે તેથી રશિયા અને ચીન વચ્ચે મતભેદો ઉભા થયા છે બંને વચ્ચેની નિકટતામાં ખટાશ આવી ગઈ છે જ્યારે ભારત સાથે રશિયાને કોઈ વિવાદ નથી. તેથી રશિયા ભારતને મહત્ત્વ આપી રહ્યું છે, તે નિર્વિવાદ છે. ભારતનો પણ તેની પરમાણુ શક્તિ તથા રૉકેટરીમાં રશિયાના સાથ- સહકારની જરૂર છે. આથી બંને દેશો વચ્ચેની મૈત્રી ગાઢ બની રહી છે.










