![]()
– વ્યાજની ઉઘરાણીથી ત્રસ્ત થયેલા
– વ્યાજે લીધેલા રૂપિયા ચુકવી દીધાં હોવા છતાં ઉઘરાણી કરી મરવા મજબૂર કર્યાં
સિહોર : સિહોરના આધેડે વ્યાજે લીધેલા રૂપિયા ચુકવી દીધાં હોવા છતાં આંબલાના શખ્સે ઉઘરાણી કરી માનસિક ત્રસ્ત કરતા આધેડે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. બનાવ અંગે મૃતકના પુત્રએ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
સિહોરના ધોળકીયા શેરીમાં રહેતા રિયાઝભાઈ બહાદુરભાઈ મકરાણીએ સિહોર પોલીસ મથકમાં અશોક ભકાભાઈ રબારી (રહે.આંબલા, તા.સિહોર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના પિતા બહાદુરભાઈએ ઉક્ત અશોકભાઈ પાસે રૂ.૨૦ હજાર વ્યાજે લીધાં હતા અને દર મહિને તેમના પિતાએ તેઓને રૂ.૨,૦૦૦ વ્યાજ ચુકવી વ્યાજે લીધેલા ૨૦ હજાર પરત ચુકવી દીધાં હતા, તેમ છતાં રૂ.૩૦ હજાર આપવાના બાકી છે તેવી સતત તેમના પિતા બહાદુરભાઈ પાસે ઉઘરાણી કરતા હોવાથી બહાદુરભાઈને સતત માનસિક ટોર્ચર કરતા તેમના પિતા આ ટોર્ચરથી કંટાળી ગતરોજ તેમના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેમને સારવાર માટે સિહોર સરકારી દવાખાને સારવાર માટે લાવત ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. આ મામલે સિહોર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.










