![]()
શહેરના જયુબિલી બાગ પાસે મ્યુ. કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી હોવાને કારણે આસપાસના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
લહેરીપુરા ગેટથી કાલુપુરા સેન્ટ્રલ સ્ટોરે માર્ગ થઈ છત્રપતિ શિવાજી અતિથિગૃહ સુધી મ્યુ. કોર્પોરેશન દ્વારા નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી હાથ ધરાતા જયુબિલીબાગ ભક્તિ સર્કલથી અતિથિગૃહ સુધીનો રસ્તો તમામ પ્રકારના વાહન માટે ૭ નવેમ્બરથી બંધ કરી દેવામાં આવ્યો છે.
માર્ગ બંધ હોવાથી ગ્રાહકોની અવરજવર અટકતા વેપારીઓએ જણાવ્યું હતું કે, ધંધામાં ૮૦ ટકા સુધીની અસર પડી રહી છે. અમે કામગીરીમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ, પરંતુ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવી માગ છે, નહીં તો દુકાનો બંધ કરવાની નોબત આવશે, એમ વેપારીઓએ વેદના વ્યક્ત કરી હતી.
એક વેપારીએ જણાવ્યું હતું કે, આડેધડ ખોદકામને કારણે તેમની પાણી, ડ્રેનેજ અને ગેસની લાઈનો તૂટી જતાં સ્વખર્ચે તેનું સમારકામ કરાવવું પડયું છે. વેપારીઓએ મ્યુ. કોર્પોરેશનને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવાની માગ કરી છે.










