![]()
Lionel Messi Vantara Visit: વર્લ્ડ ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી ભારત પ્રવાસના છેલ્લા દિવસે જામનગરમાં આવેલા અનંત અંબાણીના વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ અને સંરક્ષણ કેન્દ્ર વનતારાની મુલાકાત લીધી હતી. જેમાં ભવ્ય સ્વાગત બાદ મેસ્સીએ અનંત અંબાણી અને તેમની પત્ની રાધિકા અંબાણી સાથે આરતી કરી હતી. વનતારાની મુલાકાત દરમિયાન લિયોનલ મેસ્સીએ અગોચર સૃષ્ટિની એક અનોખી અનુભૂતિ કરી હતી, હાથી સાથે ફૂટબોલ રમી મેસ્સીએ એક અવિસ્મરણીય અનુભવ કર્યો હતો. મેસ્સી તેમના ઇન્ટર માયામીના સાથી ખેલાડીઓ લુઈસ સુઆરેઝ અને રોડ્રિગોડી પોલ સાથે વનતારામાં પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂટબોલના દિગ્ગજ ખેલાડીએ મંદિરમાં મહાઆરતીમાં પણ ભાગ લીધો હતો.
હાથીના બચ્ચા (માણેકલાલ) સાથે ફૂટબોલ રમ્યો મેસ્સી
લિયોનેલ મેસ્સીના વનતારા પ્રવાસનું મુખ્ય આકર્ષણ એલિફન્ટ કેર સેન્ટર રહ્યું, જ્યાં મેસ્સી માણેકલાલને મળ્યા હતા (બે વર્ષ પહેલાં લાકડા કાપવાના ઉદ્યોગમાં કઠોર મજૂરીમાંથી તેની બીમાર માતા પ્રથમા સાથે બચાવાયેલ હાથીનું બચ્ચું). એક એવી ક્ષણમાં, જેણે સમગ્ર વનતારા કેન્દ્રના હૃદયો જીતી લીધા, મેસ્સીએ માણેકલાલ સાથે અચાનક ફૂટબોલ રમવાનું શરૂ કરી દીધું. હાથીના બચ્ચાએ પણ મેસ્સીની સાથે ફૂટબોલની રમતનો આનંદ લીધો આ ક્ષણ મેસ્સીની ભારત મુલાકાતની સૌથી યાદગાર પળોમાંની એક બની ગઈ. જુઓ VIDEO
સિંહના બચ્ચાનું નામ લાયોનેલ રખાયું
અનાથ અને સંવેદનશીલ નાના પ્રાણીઓ માટે સમર્પિત ફોસ્ટર કેર સેન્ટરમાં મેસ્સીએ તેમની સંઘર્ષભરી છતાં પ્રેરણાદાયી યાત્રાઓ વિશે જાણકારી મેળવી. એક હૃદયસ્પર્શી ક્ષણમાં અનંત અંબાણી અને રાધિકા અંબાણીએ સાથે મળીને એક સિંહના બચ્ચાનું નામ ‘લાયોનેલ’ રાખ્યું, જે હવે આશા અને સાતત્યતાનું પ્રતિક બની ગયું છે અને ફૂટબોલ દંતકથા સમાન મેસ્સીના સન્માનમાં અપાયું છે. મેસ્સી સિંહ તેમજ અન્ય જીવો સાથે અનેક સેલ્ફી પણ લીધી હતી.
વનતારાની યાત્રાથી લિયોનલ મેસ્સી મંત્રમુગ્ધ, આરતીમાં જય માતાજી અને હર હર મહાદેવના નામનો જયકારો કર્યો હતો, જુઓ VIDEO
મેસ્સીએ વનતારાને દિલથી માણ્યું
સિંહ, ચિત્તા, વાઘ અને અન્ય લુપ્તપ્રાય પ્રજાતિઓ માટેના સંભાળકેન્દ્રમાં મેસ્સીએ કુદરતી અને સમૃદ્ધ વાતાવરણમાં ખીલતા પ્રાણીઓ સાથે સમય વિતાવ્યો, જેમાંથી ઘણા પ્રાણીઓ ઉત્સુકતાપૂર્વક તેમની નજીક આવ્યા. ત્યારબાદ મેસ્સીએ હર્બિવોર કેર સેન્ટર અને સરિસૃપ સંભાળકેન્દ્રની મુલાકાત લીધી, જ્યાં વિશેષ પશુચિકિત્સા સારવાર, કસ્ટમાઇઝ્ડ પોષણ, વર્તણૂક આધારિત તાલીમ અને વૈજ્ઞાનિક પશુપાલન પ્રોટોકોલ હેઠળ પ્રાણીઓની ઉત્તમ સંભાળ લેવામાં આવે છે, જે વન્યજીવન કલ્યાણમાં વનતારાના વૈશ્વિક નેતૃત્વને દર્શાવે છે. પ્રવાસ દરમિયાન તેમણે મલ્ટી-સ્પેશિયલિટી વાઇલ્ડ લાઇફ હોસ્પિટલની પણ મુલાકાત લીધી, જ્યાં રિયલ-ટાઇમ ક્લિનિકલ અને સર્જિકલ પ્રક્રિયાઓનું નિરીક્ષણ કર્યું, બાદમાં ઓકાપી, ગેંડા, જિરાફ અને હાથીઓને ખોરાક આપ્યો. વૈશ્વિક દ્રષ્ટિકોણથી તેમણે ભારતમાં વન્યજીવન સંભાળ અને સંરક્ષણને આગળ વધારવા માટે ભારતના વડાપ્રધાનની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો: વનતારાની યાત્રાથી લિયોનેલ મેસ્સી મંત્રમુગ્ધ, એક અવિસ્મરણિય અનુભવ










