![]()
Vadodara : વડોદરા શહેરમાં આવેલા વિવિધ હયાત ફ્લાયઓવર તથા રેલવે ઓવરબ્રિજની રાઇડિંગ સરફેસની જાળવણીના ભાગરૂપે હયાત બ્રિજ પર ડેડ લોડ ન વધે તેમજ વાહનચાલકો અને રાહદારીઓને અવર-જવરમાં વધુ સુવિધા મળી રહે તે હેતુસર કુલ 41 બ્રિજ પૈકી રસ્તાની કામગીરી માટે અંદાજે 12 બ્રિજ ઉપર રીસર્ફેસિંગ કરવાનું આયોજન હાથ ધરાયું છે. શહેરના વિવિધ બ્રિજ પર જરૂરીયાત મુજબ મિલીંગ, માસ્ટિક આસ્ફાલ્ટ, રી-સરફેસિંગ તથા રોડ ફર્નિચર સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
શહેરના નવાયાર્ડ, લાલબાગ, વડસર, સોમાતલાવ, કલાલી, જેતલપુર, અકોટા-દાંડિયા બજાર, છાણી રેલવે ઓવરબ્રિજ તેમજ ફતેગંજ ફ્લાયઓવર બ્રિજ પર પંડયા બ્રિજ તરફથી ઈ.એમ.ઈ. સર્કલ તરફના કેરેજ-વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
હાલમાં 40 મીટર રીંગ રોડ પર આવેલા ફતેગંજ ફ્લાયઓવર બ્રિજ ઉપર ઈ.એમ.ઈ. સર્કલથી પંડયા બ્રિજ તરફ જતાં કેરેજ-વે પર અંદાજે 700 મેટ્રિક ટન હયાત સરફેસનું મિલીંગ કરી માસ્ટિક આસ્ફાલ્ટની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ બિટ્યુમિનસ કોન્ક્રિટ પાથરવામાં આવશે અને ટૂંક સમયમાં, અંદાજે આગામી 15 દિવસમાં આ બ્રિજ ટ્રાફિકની અવર-જવર માટે ખુલ્લો મુકવામાં આવશે.
આ કામગીરીથી વાહનચાલકો અને રાહદારીઓને અવર-જવરમાં સુગમતા મળશે. સાથે જ માસ્ટિક આસ્ફાલ્ટના ઉપયોગથી વરસાદી પાણી બ્રિજની રાઇડિંગ સરફેસમાં ઓછું પેનેટ્રેટ થશે, જેના પરિણામે બ્રિજના સ્ટ્રકચરની આયુષ્યમાં વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.










