![]()
– દિલ્હી, જમ્મુ કાશ્મીર અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં લોકો રસ્તા પર ઉતર્યા
– બાંગ્લાદેશ હાઇ કમિશન, ડેપ્યુટી હાઇ કમિશન સામે હજારો લોકો એકઠા થયા : મોહમ્મદ યુનુસના પોસ્ટરોને ખાસડા પહેરાવી સૂત્રોચ્ચાર કર્યો
– જમ્મુ કાશ્મીર હાઇકોર્ટ બાર એસો.ના સભ્યો દ્વારા પણ વિરોધ, હિન્દુઓની સુરક્ષા કરવા કેન્દ્ર સરકારને વિનંતી
– હાઇ કમિશન સામે પ્રદર્શન મુદ્દે બાંગ્લાદેશે ભારતીય રાજદૂતને સમન્સ મોકલ્યા પણ હિન્દુ યુવકની ટોળા દ્વારા હત્યા મુદ્દે મૌન
નવી દિલ્હી/ઢાકા: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની ઢોર માર મારીને હત્યા કરાઇ અને બાદમાં ટોળાએ મૃતદેહને ઝાડ સાથે લટકાવીને આગ લગાવી દીધી હતી. આ ઉપરાંત અન્ય હિન્દુઓ પર અત્યાચારને લઇને હવે બાંગ્લાદેશમાં વધી રહેલા કટ્ટરવાદ સામે ભારતમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઇ કમિશન સામે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં હિન્દુ સંગઠનોના અનેક સમર્થકો કે કાર્યકર્તાઓ જોડાયા હતા અને હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
દિલ્હીના ચાણક્યપુરીમાં બાંગ્લાદેશનું હાઇ કમિશન આવેલું છે જેની બહાર બહુ જ મોટી સંખ્યામાં સાધુ સંતો, હિન્દુ સંગઠનો સાથે સંકળાયેલા લોકો એકઠા થયા હતા અને બાંગ્લાદેશમાં હિન્દુ યુવકના મોબ લિન્ચિંગનો વિરોધ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ગાઝિયાબાદ, નોઇડા, હરિયાણા સહિત અન્ય રાજ્યોમાંથી અનેક લોકો જોડાયા હતા. પ્રદર્શનકારીઓને રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરાયા હતા સાથે જ બાંગ્લાદેશ હાઇ કમિશન આગળ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હતા.
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશની વર્તમાન સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની તસવીરોને ઝોડાનો હાર પહેરાવ્યો હતો, સાથે જ જે હિન્દુ યુવકની હત્યા કરીને મૃતદેહ સળગાવાયો તે સળગતા મૃતદેહનો પોસ્ટરમાં સમાવેશ કરીને સુત્રોચ્ચાર કર્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ હાઇ કમિશનની સુરક્ષા માટે ૧૫૦૦થી વધુ પોલીસકર્મી તૈનાત કરાયા હતા. લોકો જે પ્લેકાર્ડ સાથે પ્રદર્શન કરી રહ્યા હતા તેમાં બાંગ્લાદેશ સરકારની ભારે ટિકા કરાઇ હતી, એક પ્લેકાર્ડમાં લખ્યું હતું કે હિન્દુ રક્ત કી એક એક બૂંદ કા હિસાબ ચાહીયે (હિન્દુ લોહીના એક એક ટીપાનો હિસાબ જોઇએ). કેટલાકે બાંગ્લાદેશની જેહાદી માનસિકતા સામે સુત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ ચેતવણી આપી હતી કે જો હિન્દુઓ પર અત્યાચાર રોકવા યોગ્ય પગલા લેવામાં ના આવ્યા તો આગામી દિવસોમાં આ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. દિલ્હી ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ હિન્દુઓની સુરક્ષા મુદ્દે પ્રદર્શન યોજાયા હતા, જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જ્યારે જમ્મુ કાશ્મીર હાઇકોર્ટ બાર એસોસિએશન દ્વારા પણ વિરોધ કરાયો હતો.
બારના પ્રમુખ નિર્મલ કે કોટવાલે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાઓનો સિલસિલો ચાલુ છે જેનો અમે વિરોધ કરીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહને જણાવવા માગીએ છીએ કે બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા માટે યોગ્ય પગલા લેવામાં આવે, આ મુદ્દે પુરો દેશ તમારી સાથે છે. તેવી જ રીતે પશ્ચિમ બંગાળના કોલકાતામાં સ્થિત બાંગ્લાદેશના ડેપ્યુટી હાઇ કમિશનને ઘેલી લીધુ હતું અને હિન્દુઓની સુરક્ષાની માગ ઉઠાવી હતી. દિલ્હી, કોલકાતામાં કેટલાક પ્રદર્શનકારીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ વિવાદ વચ્ચે હિન્દુઓના હત્યારાઓ સામે પગલા લેવાના બદલે બાંગ્લાદેશ દ્વારા આ વિરોધ પ્રદર્શન મુદ્દે ભારતના રાજદૂતને સમન્સ પાઠવ્યા છે.










