![]()
– અરવલ્લી બચાવો આંદોલન ઉગ્ર બનતા કેન્દ્રનો નિર્ણય
– દેશના કુલ 12081 પર્વતોમાંથી માત્ર 1048 જ 100 મીટરથી ઉંચા, બાકી તમામનો નાશ થશે : સુપ્રીમમાં અરજી
નવી દિલ્હી : અરવલ્લી પર્વતમાળાને લઇને વિવાદ વધી રહ્યો છે. અરવલ્લી અંગે કેન્દ્ર સરકાર દ્વારા જે વ્યાખ્યા નક્કી કરાઇ તેનો સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકાર કરાયો તે બાદથી વિવાદ વધી ગયો છે. આ નવા નિર્ણયોને કારણે અરવલ્લી પર્વતમાળાના ૯૦ ટકા પહાડોનો સફાયો થઇ જશે તેવા આરોપો લાગી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે કેન્દ્ર સરકારે સમગ્ર અરવલ્લી પર્વતમાળામાં ખનન માટે નવી કોઇ પણ પ્રકારની મંજૂરી આપવા કે નલી લીઝ મંજૂર કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે.
કેન્દ્રીય પર્યાવરણ, ફોરેસ્ટ, ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય દ્વારા બુધવારે અરવલ્લી પર્વતમાળામાં આવનારા તમામ રાજ્યોને એક આદેશ જારી કર્યો હતો. અને દિલ્હીથી લઇને ગુજરાત સુધી અરવલ્લી પર્વતમાળાના કોઇ પણ હિસ્સામાં નવી માઇનિંગ મંજૂરી પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવા કહ્યું હતું. સત્તાવાર રીતે જાહેર કરાયેલા આદેશ મુજબ આ પ્રતિબંધ સમગ્ર અરવલ્લી રેન્જમાં લાગુ કરાશે. જેનો ઉદ્દેશ્ય અરવલ્લી પર્વતમાળાનું રક્ષણ કરવાનો તેમજ ગેરકાયદે માઇનિંગ પ્રવૃત્તિ રોકવાનો હોવાનો દાવો સરકાર દ્વારા કરાયો છે. આ સાથે જ મંત્રાલયે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન (આઇસીએફઆરઇ)ને કહ્યું છે કે જ્યાં પણ માઇનિંગ રોકી શકાય તેવા અરવલ્લીના વધુમાં વધુ વિસ્તારોની ઓળખ કરવામાં આવે.
હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા જે ઝોનમાં આ પ્રતિબંધો લાગુ કરાયા છે તે સિવાયના વિસ્તારોની ઓળખ કરવા કહ્યું છે. આ ઓળખ ઇકોલોજિકલ, જીયોલોજિકલ અને લેન્ડસ્કેપ લેવલ પર કરવામાં આવશે. અગાઉ આ કાઉન્સિલને અરવલ્લીમાં ટકાઉ માઇનિંગ માટે વૈજ્ઞાાનિક પદ્ધતિ આધારીત મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા કહેવામાં આવ્યું હતું. હાલ જ્યાં પણ માઇનિંગને મંજૂરી આપી દેવાઇ છે કે માઇનિંગ થઇ રહ્યું છે તેમાં પર્યાવરણના નિયમોનું સંપૂર્ણ રીતે પાલન થાય તેની તકેદારી રાખવા રાજ્યોને આદેશ અપાયા છે.
બીજી તરફ ૧૦૦ મીટર ઉંચાની જે વ્યાખ્યા કેન્દ્ર સરકાર દ્વારા સૂચવવામાં આવી તેનો સુપ્રીમ કોર્ટે તો સ્વીકાર કરી લીધો હતો પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા જે પેનલ રચવામાં આવી હતી તેણે આ વ્યાખ્યાનો વિરોધ કર્યો હતો અને સ્વીકારવાની ના પાડી દીધી હતી. આ વિરોધાભાસ વચ્ચે હવે આ ૧૦૦ મીટર ઉંચી પહાડીને જ અરવલ્લીમાં સામેલ કરવાની વ્યાખ્યાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ અરજીનો હાલ સ્વીકાર કરવામાં આવ્યો છે, આ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા હરિયાણા, રાજસ્થાન, કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગવામાં આવ્યો હતો. અરજદારે એફએસઆઇનો રિપોર્ટ રજુ કર્યો છે જેમાં દાવો કરાયો છે કે ભારતમાં ૧૨૦૮૧ પહાડો છે તેમાંથી માત્ર ૧૦૪૮ પહાડો જ એવા છે કે જેની ઉંચા ૧૦૦ મીટર કે તેથી વધુ છે. એટલે કે બાકીના ૧૧૦૦૦ પહાડોની ઉંચાઇ ૧૦૦ મીટરથી પણ નીચી છે જ્યાં નવી વ્યાખ્યા મૂજબ માઇનિંગની છૂટ આપવામાં આવી શકે છે.










