![]()
Alarming Changes In The Water Levels Of India’s Rivers : ભારતીય ઉપખંડની બે મહત્ત્વપૂર્ણ નદી પ્રણાલીઓ ‘ગંગા’ અને ‘સિંધુ’ના જળસ્તરમાં ચિંતાજનક ફેરફાર જોવા મળી રહ્યો છે. IIT ગાંધીનગરના સંશોધન અનુસાર છેલ્લા 40 વર્ષ દરમિયાન સિંધુ નદીના પ્રવાહમાં લગભગ 8% વધારો નોંધાયો છે, જ્યારે ગંગા નદીના પ્રવાહમાં આશરે 17% ઘટાડો થયો છે. આ ફેરફાર માત્ર પર્યાવરણ સુધી મર્યાદિત નથી; તે ભારતની જળ સુરક્ષા, ખેતી, પીવાના પાણી અને આંતરરાષ્ટ્રીય જળ કરારો માટે ગંભીર પડકાર ઊભા કરે છે.
અભ્યાસ શું કહે છે?
આ સંશોધન આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક જર્નલ Earth’s Future માં પ્રકાશિત થયું છે. સંશોધકોએ 1980 થી 2021 સુધીના 40 વર્ષના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. અભ્યાસમાં ઉચ્ચ-રિઝોલ્યુશન હાઇડ્રોલોજિકલ મોડેલો દ્વારા વરસાદ, ભૂગર્ભજળ, નદી પ્રવાહ અને સિંચાઈ પમ્પિંગ વચ્ચેના સંબંધોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સંશોધનમાં સામેલ પ્રોફેસર વિમલ મિશ્રા જણાવે છે કે, આ ફેરફારો દક્ષિણ એશિયામાં પાણીના ભવિષ્ય માટે ચેતવણી સમાન છે.
આ પણ વાંચો : ભારતે મિત્રતાનો હાથ લંબાવ્યો, બાંગ્લાદેશના નવા PM તારિક રહેમાનને દિલ્હી આવવા PM મોદીનું આમંત્રણ
સિંધુ નદીનો પ્રવાહ કેમ વધી રહ્યો છે?
- સિંધુ બેસિનમાં પાણી વધવાનું મુખ્ય કારણ આબોહવા અને હિમપ્રદેશ સાથે જોડાયેલા નીચે મુજબના પરિબળો છે:
- પશ્ચિમી વિક્ષેપો (Western Disturbances) માં વધારો થઈ રહ્યો છે.
- હિમાલય અને કરાકોરમ ક્ષેત્રમાં હિમ પીગળવાની પ્રક્રિયા ઝડપી બની રહી છે.
- ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે.
- ઊંચા પર્વતીય વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે.
ઉપરના કારણોને લીધે નીચે પ્રમાણેના ફેરફારો થઈ રહ્યા છે.
- પાકિસ્તાનને ફાળે જતી ઝેલમ અને ચિનાબમાં પાણીનું પ્રમાણ વધ્યું છે.
- મુખ્ય સિંધુ પ્રવાહ મજબૂત થયો છે.
- રાવી અને સતલજ જેવી પૂર્વીય ઉપનદીઓમાં ઘટાડો નોંધાયો છે. આ પૂર્વીય નદીઓ ભારતના નિયંત્રણ હેઠળ આવે છે, અને તેમાં ઘટાડો થવાથી ઉત્તર ભારતમાં ખેતી અને પાણી પુરવઠા પર અસર પડી શકે છે.
આ પણ વાંચો : ‘ભારત-ફ્રાન્સ બનાવશે એવરેસ્ટની ઊંચાઈ સુધી ઉડનારું હેલિકોપ્ટર’, મેક્રોન સાથેની PCમાં બોલ્યા PM મોદી
ગંગા બેસિન સુકાઈ કેમ રહ્યું છે?
ગંગાના પ્રવાહમાં ઘટાડો માત્ર વરસાદ ઘટવાથી નથી થયો, એના બીજા કારણો નીચે મુજબ છે.
- વરસાદમાં ઘટાડોઃ અભ્યાસ મુજબ ગંગા બેસિન વિસ્તારમાં લગભગ 10% વરસાદ ઘટાડો નોંધાયો છે.
- ભૂગર્ભજળનો અતિશય ઉપયોગઃ ગંગા બેસિનના ઘણા વિસ્તારોમાં નદીના પ્રવાહનો 50% થી 70% હિસ્સો ભૂગર્ભજળ દ્વારા જળવાઈ રહે છે, પણ સિંચાઈ માટે મોટા પાયે ભૂગર્ભજળનું પમ્પિંગ થઈ જતું હોવાથી ગંગા સહિતની એની ઉપનદીઓમાં પહોંચતું પાણી ઘટે છે.
- ખાલી જળભંડારો નદીઓ સૂકવે છેઃ ભૂગર્ભજળ નીચું ઉતરી ગયું હોવાથી એનું સ્થાન ભરવા માટે યમુના અને ગંગાનું પાણી ભૂગર્ભમાં ઉતરી જાય છે, જેથી નદીઓમાં જળસ્તર ઓછું થઈ જાય છે.
અન્ય પરિબળો
- વધારે પાણી માંગતા ચોખા અને શેરડી જેવા પાકની ખેતી
- અનિયંત્રિત ટ્યુબવેલ સિંચાઈ
- શહેરોમાં પાણીનો વધી રહેલો ઉપયોગ
- વેટલેન્ડ્સ અને નદીકાંઠાની નાશ પામતી પર્યાવરણીય વ્યવસ્થા
આ પણ વાંચો : ગ્રાહકની ફરિયાદ ભારે પડી: ઓલાના CEO ભાવિશ અગ્રવાલ સામે ધરપકડ વોરંટ, જાણો સમગ્ર મામલો
ઐતિહાસિક દૃષ્ટિએ ગંભીર ઘટાડો
સંશોધકોના અંદાજ મુજબ ગંગાના પ્રવાહમાં હાલમાં જે ઘટાડો નોંધાયો છે એટલો ભૂતકાળમાં ક્યારેય નોંધાયો નથી. ગંગા બેસિન પર લગભગ 40 કરોડથી વધુ લોકો સીધા આધારિત છે, તેથી આ ફેરફાર માનવજીવન માટે ગંભીર અસરકારક બની શકે છે.
સિંધુ જળ સંધિ પર કેવી અસર પડી શકે?
1960ની Indus Waters Treaty (સિંધુ જળ સંધિ) ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણી વહેંચણી માટે મહત્ત્વપૂર્ણ કરાર છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે એપ્રિલ 2025 માં આ સંધિ સ્થગિત કરી દીધી હતી. હવે, ભારત તેની પશ્ચિમી નદીઓના પાણીનો ઉપયોગ કરવા માટે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ઝડપથી મંજૂરી આપી રહ્યું છે. આ વિસ્તારમાં હાલમાં નીચે મુજબની પરિસ્થિતિ છે.
- પાકિસ્તાનની ખેતી અને પીવાનું પાણી મોટા પ્રમાણમાં સિંધુની પશ્ચિમી નદીઓ પર આધારિત છે.
- ભારતના પંજાબ પ્રદેશમાં ભૂગર્ભજળ ઝડપથી નીચે જઈ રહ્યું છે, જે ભવિષ્યમાં પાણીની તંગી ઉભી કરી શકે છે.
- નદીઓ પર વધતા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ પાણીના પ્રવાહ અને ઉપયોગના ઢાંચામાં ફેરફાર કરી રહ્યા છે.
- આબોહવા પરિવર્તનને કારણે વરસાદ અને હિમ પીગળવાની પ્રક્રિયામાં ફેરફાર થવાથી નદીઓમાં પાણી કેટલું આવશે તે અનિશ્ચિત બન્યું છે.
- આબોહવા પરિવર્તન અને માનવ ઉપયોગને કારણે ભવિષ્યમાં સિંધુ જળ સંધિ મુજબની પાણી વહેંચણી પર પુનર્વિચાર કરવાની જરૂર પડી શકે છે.
આ પણ વાંચો : NCPના મર્જરની ચર્ચા વચ્ચે સુનેત્રા પવારનો રાજકીય દબદબો વધ્યો, પાર્ટીએ સોંપી મોટી જવાબદારી
ભારત માટે જળ સુરક્ષા પ્રભાવિત થઈ શકે છે
- ગંગા બેસિન સુકાતાં ભારતમાં નીચે મુજબના પરિણામો જોવા મળી શકે એમ છે.
- ખેત ઉત્પાદન ઘટી શકે છે.
- પીવાના પાણીની અછત સર્જાવાની શક્યતા છે.
- ભૂગર્ભજળનું ઝડપથી ઓછું થઈ શકે છે.
- નદી પર આધારિત પર્યાવરણ તંત્રને નુકસાન પહોંચે એમ છે.
- આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય પાણી વહેંચણી બાબતના વિવાદોમાં વધારો થઈ શકે છે.
સંકટ ટાળવા માટે કેવા ઉપાયો અજમાવી શકાય?
ભવિષ્યમાં ભારત વિકટ જળસંકટમાં ન ઘેરાઈ જાય, એ માટે નીચે મુજબના ઉપાયો અત્યારથી જ અમલમાં મૂકવા જોઈએ.
1. સંકલિત જળ સંચાલન : • નદીઓ અને ભૂગર્ભજળને અલગ નહીં પરંતુ એક જોડાયેલી પ્રણાલી તરીકે સંચાલિત કરવું.
2. પાણી કાર્યક્ષમ ખેતી : • ડ્રિપ અને સ્પ્રિંકલર સિંચાઈનો ઉપયોગ વધારવો. • ઓછું પાણી માંગતા પાક વાવવા. • પાક વૈવિધ્યકરણ અજમાવવું.
3. ભૂગર્ભજળ નિયંત્રણ : • અનિયમિત પમ્પિંગ પર નિયંત્રણ મૂકવું. • રિચાર્જ ઝોનનું સંરક્ષણ કરવું. • વરસાદી પાણીનો સંચય કરવો.
4. પર્યાવરણીય પુનઃસ્થાપન : • વેટલેન્ડ્સનું પુનર્જીવન કરવું. • નદીકાંઠાની વનસ્પતિનું સંરક્ષણ કરવું. • પ્રાકૃતિક પ્રવાહ જાળવવાના પ્રયાસ કરવા.
5. પાણી પ્રત્યે વલણમાં બદલાવ : • પાણીને મફત સંસાધન તરીકે નહીં, પરંતુ મૂલ્યવાન કુદરતી સંપત્તિ તરીકે જોવાની જરૂર છે. જનતામાં આ માટેની જાગૃતિ લાવવી જરૂરી છે.
ભવિષ્ય માટે ચેતવણી
જો હાલની પરિસ્થિતિ યથાવત રહેશે તો ગંગા બેસિનમાં પાણીનું સંકટ વધુ ગંભીર બનશે. બીજી તરફ સિંધુમાં વધતું પાણી પણ અસમાન વિતરણ અને રાજકીય તણાવ સર્જી શકે છે. IIT ગાંધીનગરનું સંશોધન સૂચવે છે કે આબોહવા પરિવર્તન, માનવ ઉપયોગ અને પાણી વ્યવસ્થાપનની નીતિઓને તરત સુધારવામાં આવશે તો જ ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.










