![]()
– વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના પ્રમુખ મૈક્રોં વચ્ચે મુંબઈમાં બેઠક : ભારત-ફ્રાન્સ ઈનોવેશન યરનો પ્રારંભ
– ભારત એવરેસ્ટ સુધી ઉડનારા હેલિકોપ્ટર એરબસ એચ-125નું ઉત્પાદન-નિકાસ કરશે, કર્ણાટકમાં એસેમ્બલી લાઈનનું વર્ચ્યુઅલ ઉદ્ધઘાટન કરાયું
– વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન માટે બંને દેશો દ્વારા બેવડા વેરા નાબૂદ કરાયા 2030 સુધીમાં ફ્રાન્સ ભારતના 30 હજાર વિદ્યાર્થીઓને આવકારશે
– ફાઈટર જેટ રાફેલ, સ્કોર્પીયન સબમરીનથી લઈ હેમર મિસાઈલોના સંયુક્ત ઉત્પાદન પર ભાર મૂકાયો
મુંબઇ : યુરોપીયન યુનિયન અને અમેરિકા સહિત અનેક દેશો સાથે ભારતે કરેલા વેપાર કરારોની પૃષ્ઠભૂમિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંએ મંગળવારે મુંબઈમાં લોકભવન ખાતે બેઠક કરી હતી. દુનિયાભરમાં વધતી અનિશ્ચિતતા વચ્ચે વિશ્વમાં સ્થિરતા લાવવાના હેતુથી બંને નેતાઓએ ભારત અને ફ્રાન્સની વ્યૂહાત્મક વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે મુંબઈથી જ કર્ણાટકના વેમાગલમાં તૈયાર થયેલી એરબસ એચ-૧૨૫ હેલિકોપ્ટરની એસેમ્બ્લી લાઈનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે ભારત અને ફ્રાન્સે સંરક્ષણ, દુર્લભ ખનીજો, એઆઈ સહિત હાઈ ટેક્નોલોજી, વૈકલ્પિક ઊર્જા અને સ્વાસ્થ્ય સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે કુલ ૨૧ કરારો કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંએ કર્ણાટકના વેમાગલમાં એચ-૧૨૫ હેલિકોપ્ટરની એસેમ્બલી લાઈનનું વર્ચ્યુઅલ ઉદ્ધઘાટન કર્યું હતું. આ એરલાઈન ટાટા એડવાન્સ સિસ્ટમ તથા ફ્રાન્સની એરબસ કંપનીની ભાગીદારીમાં સ્થાપવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ આ પ્રોજેક્ટને ભારત અને ફ્રાન્સ વચ્ચેના ગાઢ સંબંધોના પ્રતીક સ્વરૂપ જણાવતાં કહ્યુું હતું કે ભારતમાં ફ્રાન્સના સહયોગથી બની રહેલાં આ હેલિકોપ્ટર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈએ ઊડી શકે તેવાં પહેલાં એરક્રાફ્ટ હશે અને તેની વિશ્વભરમાં નિકાસ કરાશે.
પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત અને ફ્રાન્સ બેવડા વેરાને નાબુદ કરશે. તેનાથી દ્વિપક્ષી વેપાર, રોકાણ, પરિવહનની બાબતોને પ્રોત્સાહન મળશે. ભારત અને ફ્રાન્સ વચ્ચે યર ઓફ ઈનોવેશનની શરુઆત થઈ છે અને તેના દ્વારા આ વ્યૂહાત્મક ભાગીદારી જનભાગીદારીમાં રુપાંતરિત થશે. સંરક્ષણ, ક્લિન એનર્જી, સ્પેસ તથા નવી ટેકનોલોજીના ક્ષેત્રોમાં ઈન્ડસ્ટ્રી અને સંશોધકો વચ્ચે ભાગીદારીનાં દ્વાર તેના દ્વારા ઉઘડશે.
ફ્રાન્સના પ્રમુખ ઈમ્મેન્યુઅલ મેક્રોંએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારત અને ફ્રાન્સના સંબધો વિશ્વાસ,નિખાલસતા અને સહિયારી આકાંક્ષાઓ પર આધારિત છે. તેમણે કહ્યું હતું કે ફ્રાન્સ ભારતનો વિશ્વસનીય સાથી દેશ બની રહેવા ઈચ્છે છે. તેમણે કહ્યું હતું કે બંને દેશો સ્પેસ, એરોનોટિક્સ, રેલવે, સોલાર એનર્જી અને ટેકનોલોજીનાં ક્ષેત્રોમાં સહિયારું વીઝન ધરાવે છે.
બાદમાં બંને નેતાઓએ ઈન્ડિયા ફ્રાન્સ ઈનોવેશન ફોરમનું ઉદ્ધઘાટન કર્યું હતું. આ સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ ભારત- ફ્રાન્સ ઈનોવેશન યર એ કોઈ માત્ર ઉજવણી નહિ પરંતુ ઈનોવેશન અને નેતૃત્વ માટેની એક પ્રતિબદ્ધતા તરીકે જોવું જોઈએ. તેમણે કહ્યુું હતું કે ફ્રાન્સે ૨૦૩૦ સુધીમાં ૩૦ હજાર ભારતીય વિદ્યાર્થીઓને આવકારવાનું લક્ષ્ય રાખ્યું છે.
મેક્રોંએ આ પ્રસંગે કહ્યું હતું કે ભારત અને ફ્રાન્સ ફક્ત વસ્તુઓ જ નહિ પરંતુ વિચારોની પણ આપલે કરી રહ્યાં છે. તેમણે ભારતીય ટેક ટેલેન્ટ તથા સ્ટાર્ટ અપ્સ માટે ખાસ કરીને ગ્રીન ટેકનોલોજી તથા સ્પેસના ક્ષેત્રોમાં ફ્રાન્સના સહયોગીઓ સાથે જોડાણ માટે નવાં પ્રોત્સાહનોની જાહેરાત કરી હતી. આ અગાઉ દિવસ દરમિયાન પીએમ મોદી તથા મેક્રોંએ લોકભવન ખાતે દ્વિપક્ષી મંત્રણાઓ યોજી હતી. તેમણે ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ, વેપાર તથા સાંસ્કૃતિ આદાન પ્રદાન બાબતે ચર્ચા કરી હતી.
મેક્રોંએ આજે દિવસ દરમિયાન મુંબઈના ૨૬-૧૧ના ત્રાસવાદી હુમલાના સ્મારક સ્થળે જઈ અંજલિ આપી હતી . સોશિયલ મીડિયા પર એક મેસેજમાં તેમણે જણાવ્યું હતું કે ત્રાસવાદ સામેની લડાઈમાં ફ્રાન્સ ભારતની પડખે છે. આ ઉપરાંત મેક્રોં ભારતના બોલિવુડ તથા ઉદ્યોગ જગતની કેટલીક હસ્તીઓને મળ્યા હતા.










