![]()
Jamnagar : જામનગર જિલ્લાના ધ્રોલમાં પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલાં આશાપુરા મંડપ સર્વિસના ગોડાઉનમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સોબા સેગવા ગામના વતની અને અહીં મજૂરી કામ કરતા 45 વર્ષીય ભારતસિંહ રણછોડભાઈ પટેલીયાનું બીજા માળની છત પરથી નીચે પટકાવવાને કારણે મૃત્યુ નિપજ્યું છે.
મૃતક ભારતસિંહ ધ્રોલ મુકામે આશાપુરા મંડપ સર્વિસમાં મજૂરી કામ કરતા હતા. ગત તારીખ 19/02/2026ના રોજ રાત્રિના સમયે કામ પૂર્ણ કરી જમીને તેઓ ગોડાઉનના બીજા માળે છત પર સુવા માટે ગયા હતા. રાત્રિના અંદાજે સાડા અગિયારેક વાગ્યાની આસપાસ તેઓ લઘુશંકા કરવા માટે ઉઠ્યા હતા, તે દરમિયાન અચાનક તેમનો પગ લપસી ગયો હતો, અને તેઓ સીધા છત પરથી જમીન પર પટકાયા હતા.
આ ઘટનાને પગલે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના ભાઈ નાયકાભાઈ રૂબશીભાઈ પટેલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે મૃત્યુના મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










