![]()
ખ-૩ સર્કલથી ખ-૧ સુધીના રેલવે લાઇનને સમાંતરના પટ્ટામાં
વર્ષ ૧૯૯૨-૯૩માં સંપાદિત ૨ કિલોમીટરના પટ્ટાની જમીનમાં રેતી, સિમેન્ટ, સ્ટીલ સહિતના ૧૫થી વધુ ગોડાઉન મળતાં તંત્ર હરકતમાં
ગાંધીનગર : પાટનગરમાં સરકારી જમીનમાં ઘુસણખોરીની વાત નવી નથી. ખ ૩
સર્કલથી ખ ૧ સર્કલ સુધી રેલ્વે લાઇનની વચ્ચેના ૨ કિલોમીટરના પટ્ટાની શ્રી સરકાર
થયેલી જમીનો ગોડાઉન હેતુ માટે બારોબાર ભાડે ચઢાવાયાનો ઘટસ્ફોટ થતાં તંત્ર ચોંકી
ઉઠયું છે. વર્ષ ૧૯૯૨-૯૩માં સંપાદન કરાયેલી આ જમીનમાં રેતી, સિમેન્ટ, સ્ટીલ સહિતના
૧૫થી વધુ ગોડાઉન મળતાં હરકતમાં આવેલા તંત્રે રેવન્યુ રેકોર્ડ ફેંદવાનું શરૃ કર્યું
છે.
થોડા દિવસો પહેલાં જ ન્યુ ગાંધીનગરના વાસણા હડમતિયા
વિસ્તારમાં મંડપ સવસ સહિત હેતુના ગેરકાયદે ખડકી દેવામાં આવેલા ગોડાઉન્સ મળી આવ્યા
હતાં. સરકાર દ્વારા પાટનગરને દબાણ મુક્ત કરવા સંબંધિત તમામ તંત્રને કામે લગાડયાના
પગલે થઇ રહેલી સ્થળ તપાસમાં એક પછી એક નવા નવા સ્થળોએ સરકારી મોંઘામુલની જમીનોમાં
થયેલા દબાણો ઉજાગર થવા લાગ્યાં છે. ત્યારે આવી ગેર પ્રવૃતિથી સેક્ટર વિસ્તાર પણ
બાકાત રહ્યો નથી. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન
ખ ૧ સર્કલથી ખ ૩ સર્કલ સુધી રેલ્વે લાઇનની વચ્ચેના ૨ કિલોમીટરના પટ્ટાની શ્રી
સરકાર થયેલી જમીનો ગોડાઉન હેતુ માટે બારોબાર ભાડે ચઢાવી દેવામાં આવ્યાનું કૌભાંડ
ખુલતાં છેક સચિવાલય સુધી આ મુદ્દો ચર્ચાનો વિષય બની ચૂક્યો છે.
પ્રાથમિક તબક્કે જ જમીન ખાલી કરવાની મૌખિક સુચના અપાઇ
પાટનગરની સ્થાપના માટે સેંકડો એકર જમીનના સંપાદન બાદ ઉપયોગ
સિવાયની જમીનો વિવિધ હેતુ અને ભવિસ્યની જરૃરતો માટે ખુલ્લી રખાઇ હતી. તેમાંની ઘણી
જમીન મુળ માલિક એવા ખેડૂતોને જ્યાં સુધી જમીન ઉપયોગમાં ન લેવાય ત્યાં સુધી ખેડવા
અપાતી હતી. પરિણામે શહેરની વચ્ચે પણ દાયકા પહેલા સુધી ખેતરો હતાં. પરંતુ હવે ખેતી
પણ થતી નથી અને જમીનો બારોબાર ભાડે મળતી થઇ છે. ત્યારે આ કિસ્સામાં પ્રાથમિક
તબક્કે જ જમીન ખાલી કરવાની મૌખિક સુચના આપી દેવાઇ છે.
અસામાજિકો અને રાજકીય વગદારોની મીલીભગતથી કાળી કમાણી
શહેરના સેક્ટર વિસ્તારમાં કોઇ લોકેશન એવું નથી, કે જ્યાં જમીનનો
ભાવ આસમાનને આંબતો ન હોય. વધુમાં આ તમામ જમીન સરકારની માલિકીની છે અને હજુ મોટા
ક્ષેત્રફળની જમીનો બિન ઉપયોગી પડી છે. ત્યારે કાળી કમાણી કરવા અસામાજીક તત્વો અને
રાજકીય વગદારો મેદાને ઉતરી ચુક્યા છે. જમીનોમાં ઘુસણખોરી, દબાણ અને બારોબાર
વહીવટના કિસ્સામાં કાયદેસર કરવામાં આવે ત્યારે પણ રાજકીય ખેલંદાઓ શામ, દામ, દંડ અને ભેદની
નીતિથી કાર્યવાહી સ્થગિત કરાવે છે.










