![]()
India’s Greatest Fraudster History Natwarlal : આજના સમયમાં સાયબર કૌભાંડોના સામાન્ય થઈ ગયા છે, પરંતુ આ બધું શરૂ થયું તે પહેલા ભારતે એક એવો ઠગ જોયો હતો, જેણે એટલી મોટી મોટી છેતરપિંડીઓ કરી હતી કે સમય જતાં એનું નામ જ ઠગાઈનો પર્યાય બની ગયું હતું. એ મહા ઠગનું સાચું નામ તો મિથિલેશ કુમાર શ્રીવાસ્તવ હતું, પણ એ કુખ્યાત થયો નટવરલાલ નામે. કારણ એ હતું કે, તેણે આ નામ ધારણ કરીને જ સૌથી વધુ છેતરપિંડીઓ આચરી હતી. તાજમહેલથી લઈને લાલ કિલ્લો, સંસદ ભવન અને અન્ય સરકારી ઈમારતો વેચી નાંખવા જેટલી ઉસ્તાદી કરનાર નટવરલાલની જીવનકથા ખાસ્સી રસપ્રદ છે.
ભણતર અને બુદ્ધિને હથિયાર બનાવીને ઠગાઈ
બિહારના બાંગડા ગામમાં 1912માં જન્મેલો મિથિલેશ કુમાર શ્રીવાસ્તવ બાળપણથી જ ચતુર હતો. કાયદો અને વાણિજ્યનો અભ્યાસ કરીને એ શિક્ષિત બન્યો અને પછી એ જ શિક્ષાને એણે હથિયાર બનાવ્યું. દસ્તાવેજો, કાનૂની પ્રક્રિયા અને સરકારી પ્રણાલી વિશે ઊંડી સમજ કેળવીને એણે એવી એવી છેતરપિંડીઓ કરી કે પછી કોઈ સામાન્ય ગુનેગાર ન રહેતા, એ દંતકથા બની ગયો.
છેતરપિંડીની શરૂઆત એક સહીથી થઈ
નટવરલાલે શરૂઆત નાની બનાવટથી કરી હતી. તેણે પહેલીવાર પાડોશીની સહીની સફળ નકલ કરી હતી અને ત્યારથી તેને સમજાઈ ગયું કે લોકોના વિશ્વાસનો ગેરલાભ સરળતાથી લઈ શકાય છે. એ પછી તેણે ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો કે, મોટા અધિકારીઓ કેવી રીતે વર્તન કરે છે. દસ્તાવેજો બતાવીને લોકોનો વિશ્વાસ મેળવી શકાય છે અને આત્મવિશ્વાસથી રજૂઆત કરાય તો લોકો જૂઠને પણ સાચું માની લે છે, એ સમજીને નટવરલાલે ઠગાઈને ફૂલ ટાઇમ અપનાવી લેવાનું નક્કી કર્યું. આ એવો જમાનો હતો જ્યારે દસ્તાવેજોની તાત્કાલિક ચકાસણી થતી નહોતી, અને માણસનો દેખાવ ઘણીવાર પુરાવા કરતાં વધુ મહત્ત્વનો મનાતો હતો. નટવરલાલે લોકો અને સિસ્ટમની આ માનસિકતાનો જ લાભ ઉઠાવવા માંડ્યો.
છેતરપિંડીની કળામાં મહારત હાંસલ કરી લીધી
નટવરલાલની ઠગાઈની દુકાન ચાલી પડી. એ પોતાની જાતને વરિષ્ઠ સરકારી અધિકારી, શ્રીમંત ઉદ્યોગપતિ અને રાજદૂત જેવા પદાધિકારી તરીકે રજૂ કરતો. બોલવામાં એ એટલો હોશિયાર હતો કે લોકો એની વાત સાચી પણ માની લેતા. 1950 અને 1960ના દાયકામાં એણે નટવરલાલ સહિત એક ડઝન બનાવટી નામે અનેક લોકો સાથે છેતરપિંડી કરી, જેને કારણે તે ભારતનો સૌથી કુખ્યાત ઠગ ગણાયો.
અનેકવાર જેલ તોડીને ભાગ્યો
એવું પણ નહોતું કે નટવરલાલ પોલીસના હાથે પકડાતો નહોતો. ઘણીવાર એની છેતરપિંડી ખુલ્લી પડી જતી અને એ પોલીસના હાથે ઝડપાઈ જતો. એને સજા પણ થતી,પણ જેલની દીવાલો એને લાંબો સમય સુધી રોકી ન શકતી. એક યા બીજા કરતબ અજમાવીને એ જેલમાંથી ભાગી છૂટતો અને ‘નવી ગિલ્લી, નવો દાવ’ ન્યાયે નવા શહેરમાં જઈને નવા નામે નવી ઠગાઈ કરવા લાગતો.
આ પણ વાંચો: ચંદ્રની સપાટી પર હજારો તિરાડોને કારણે ભવિષ્યના મિશન જોખમી, નાસાએ ઉચ્ચારી ચેતવણી
તાજમહેલ સહિત જાણીતી ઈમારતો પણ વેચી મારી
નાની-મોટી ઠગાઈ તો ઘણાં કરી લેતા હોય છે, પણ રાષ્ટ્રીય સ્મારકો વેચી નાંખવા જેવો કાંડ કોઈ જેવા તેવા ઠગોનું કામ નથી હોતું. નટવરલાલે એવા અશક્ય લાગે એવા કામ પણ પાર પાડી બતાવ્યા. એય એકથી વધુ વાર. 1950 અને 1960ના દાયકામાં તેણે લોકોને તાજમહેલ, લાલ કિલ્લો, રાષ્ટ્રપતિ ભવન અને સંસદ ભવન જેવી રાષ્ટ્રીય ઈમારતો પણ વેચી નાંખી હતી! અલબત્ત, એમ કરાયાની ચોક્કસ તારીખો અથવા વર્ષોની સત્તાવાર નોંધ ઉપલબ્ધ નથી.
આ બધું તેણે કેવી રીતે પાર પાડ્યું હતું?
નટવરલાલે મુખ્યત્વે વિદેશી પ્રવાસીઓ અને ધનિક વેપારીઓને સ્મારકો વેચ્યા હતા. એટલે કે વેચવાના નકલી સોદા કર્યા હતા. તેણે ખોટા સરકારી દસ્તાવેજો, સીલ અને સહીનો ઉપયોગ કરીને ખરીદારોને વિશ્વાસ અપાવ્યો કે તે ગુપ્ત સરકારી અધિકારી છે, જનતામાં વિરોધ ન થાય એ માટે ભારત સરકાર ખાનગી રીતે આ સ્મારકો વેચી રહી છે અને એ કામ સરકારે એને સોંપ્યું છે. નટવરલાલની આત્મવિશ્વાસુ જબાન એવી તો ચાલી કે ખરીદારો બનાવટી દસ્તાવેજો ઓળખી ન શક્યા અને મોટી રકમ આપીને લૂંટાઈ બેઠા. કોઈ માણસ જગવિખ્યાત સ્મારકને વેચવાની બનાવટ તો ન જ કરે, નક્કી આ કાયદેસરનો સોદો હશે, એવી માનસિકતાને લીધે પણ લોકો ઠગાયા.
વિશ્વાસ જીતવાની કળામાં પણ ઉસ્તાદ હતો
નટવરલાલ હિંસા કે ધમકીનો ઉપયોગ ક્યારેય નહોતો કરતો. તે સમજાવટ, આત્મવિશ્વાસ અને વિશ્વાસની જાળ ફેલાવીને લોકોને ફસાવતો. તે નકલી કંપનીના નામે બેંક ખાતાં ખોલાવતો. ભવ્ય ઓફિસ ભાડે લેતો. મોંઘું ફર્નિચર વસાવતો અને સ્ટાફ રાખતો. બેંક અધિકારીઓ સાથે પણ મિત્રતા કરી લેતો. આ બધો તામઝામ દેખાડીને એ ખરીદારોને વિશ્વાસ અપાવી દેતો કે એ અને એનો સોદો સાચો છે. ગ્રાહક સાથે વિશ્વાસ મજબૂત થાય પછી તે મોટા ઓવરડ્રાફ્ટ અથવા નાણાકીય વ્યવહાર કરતો. નાણાં લઈને નટવરલાલ રફૂચક્કર થઈ જતો અને થોડા સમય પછી નવી ઠગાઈની યોજના બનાવતો. આ ખેલ એણે વર્ષો સુધી જારી રાખ્યો.
‘માનસશાસ્ત્ર’નો પણ અઠંગ ખેલાડી હતો
નટવરલાલ કહેતો કે, ‘હું ચોર નથી, માનવીય સમજનો બખૂબી ઉપયોગ કરનારો ‘વ્યૂહનીતિકાર’ છું. છેતરપિંડી ‘બુદ્ધિની રમત’ છે.’ તેનું માનવું હતું કે, ‘લોકો યુનિફોર્મ અને પદવી પર તરત વિશ્વાસ કરી લે છે. આવા લોકો આત્મવિશ્વાસ સાથે વિશ્વસનીયતા ઊભી કરે છે.’ આ વાત નટવરલાલ બહુ સારી રીતે સમજતો હતો.
આ પણ વાંચો: AI સમિટમાં દેખાવોનો મુદ્દો ગરમાયો, ઈન્દોરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, અનેક ઘાયલ
50થી વધુ રૂપ ધર્યા, 100થી વધુ વર્ષનો જેલવાસ થયો!
પોલીસ રેકોર્ડ મુજબ નટવરલાલે આખી જિંદગીમાં 50થી વધુ રૂપ ધારણ કર્યા હતા. વિવિધ ગુનામાં તેને મળેલી સજાનો સરવાળો કરીએ તો તેને જીવનકાળ દરમિયાન કુલ 100થી વધુ વર્ષની જેલની સજા થઈ હતી. આમ છતાં તે દર વખતે જેલમાંથી ભાગી જવામાં સફળ થથો. એકવાર તો જેલમાંથી ભાગવા માટે એણે જેલના ગાર્ડને 10,000 રૂપિયા આપ્યા હતા. એ બંડલમાં ઉપર-નીચેની નોટો સાચી અને વચ્ચે ફક્ત કોરા કાગળ હતા. એ જેલમાંથી નીકળી ગયો પછી ગાર્ડને છેતરાયાની ખબર પડી હતી.
છેલ્લે પોલીસના હાથમાંથી ગાયબ થઈ ગયો, કાયમ માટે!
1996માં નટવરલાલ પોલીસના કબજામાં હતો ત્યારે એક દિવસ એને તબીબી સારવાર માટે લઈ જવાની જરૂર ઊભી થઈ. રસ્તામાં નટવરલાલે પોલીસને થાપ આપી અને નવી દિલ્હી રેલવે સ્ટેશન નજીકથી ગાયબ થઈ ગયો. એ ઘટના બની ત્યારે નટવરલાલ 84 વર્ષનો હતો. આટલી ઉંમરેય એની ઠગાઈ-કળા નિષ્ફળ નહોતી ગઈ. એ પછી નટવરલાલ ક્યાં ગયો, એની કોઈ ભાળ ન મળી. એ કેટલું જીવ્યો, એ કદી જાણી ન શકાયું.
આજેય લોકકથાઓમાં જીવતો નટવરલાલ
બિહારના કેટલાક વિસ્તારોમાં લોકો આજે પણ નટવરલાલને ‘રોબિન હૂડ’ તરીકે યાદ કરે છે. લોકોનું કહેવું છે કે રોબિન હૂડની જેમ નટવરલાલ પણ અમીરોને લૂંટીને ગરીબોને મદદ કરતો.
આ પણ વાંચો: પંજાબમાં ASI અને હોમગાર્ડની ગોળી મારીને હત્યા, ગેંગસ્ટર-આતંકી એંગલથી તપાસ શરૂ
ઠગાઈનો પર્યાય બન્યો ‘નટવરલાલ’
સમય જતાં ‘નટવરલાલ’ શબ્દ ઠગાઈ સાથે એટલો જડબેસલાક જોડાઈ ગયો કે નાની-મોટી લુચ્ચાઈ કરનાર માણસ માટે પણ લોકો ‘એ તો નટવરલાલ છે’ એવો શબ્દ પ્રયોગ કરવા લાગ્યા. ફિલ્મો અને સાહિત્યમાં તેના પરથી પાત્રો બન્યા. અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘મિસ્ટર નટવરલાલ’ એનું જ ઉદાહરણ. નામ બદનામ થયું તો શું, નટવરલાલ બદનામ થઈને પણ લોકપ્રિય સંસ્કૃતિનો ભાગ બની ગયો.










