![]()
– ભારત પાસે ક્રૂડનો પૂરતો સ્ટોક પણ એલપીજીની અછત
નવી દિલ્હી : સરકારે ઓછા ઉપયોગમાં લેવાતી ઇમરજન્સી સત્તાનો ઉપયોગ કરી ઓઇલ રિફાઇનરીઓને એલપીજી પ્રોડક્શન વધારવાના નિર્દેશ આપ્યા છે. સરકાર ખાડીના દેશોમાં વધતા વિવાદથી થનારી સંભવિત મુશ્કેલીઓથી બચવા માટે ડોમેસ્ટિક રસોઇ ગેસની ઉપલબ્ધતા વધારવા માંગે છે.
૨૦૨૪-૨૫માં ભારતમાં ૩૧.૩ મિલિયન ટન એલપીજી વપરાયો હતો. જે પૈકી ૧૨.૮ મિલિયન ટન એલપીજીનું ઉત્પાદન દેશમાં કરવામાં આવ્યું હતું જ્યારે બાકીના એલપીજીની અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવી હતી.
આયાત ઝડપથી ઘટી રહી છે કારણકે ૮૫ થી ૯૦ ટકા આયાત સઉદી અરેબિયા જેવા દેશોમાંથી થાય છે જે ટ્રાન્ઝિટ માટે હોર્મુઝ સમુદ્ર માર્ગ પર નિર્ભર છે.
ઇઝરાયેલ અને અમેરિકાનાં હુમલા પછી ઇરાને હોર્મુઝ સમુદ્ર માર્ગ બંધ કરી દીધો છે અને તેણે ખાડીનાં દેશોમાં અમેરિકન સ્થળો પર જવાબી કાર્યવાહી કરી છે. જેના કારણે આ દેશોમાં છેલ્લા એક સપ્તાહથી તંગદિલી વધી ગઇ છે.
ભારતની પાસે ઓઇલનો અનામત જથ્થો છે પણ એલપીજી પ્રોડક્શનમાં તેની અછત છે. પાંચ માર્ચનાં સરકારનાં આદેશ અનુસાર પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની રિફાઇનરીઓને જણાવવામાં આવ્યું છે કે તે પ્રોપેન અને બ્યુટેન સ્ટ્રીમનો વધારેમાં વધારે ઉપયોગ કરી સુનિશ્ચિત કરે કે ઉત્પન્ન થનારા પ્રોપેન અને બ્યુટેન સ્ટ્રીમનો ઉપયોગ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી)નાં ઉત્પાદન માટે કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે એલપીજી પ્રોપેન અને બ્યુટેનનું મિક્સચર છે. એસેન્શિયલ કોમોડિઝ એક્ટ, ૧૯૫૫ (જેને સામાન્ય રીતે એસ્મા કહેવામાં આવે છે)થી મળેલ સત્તાઓ હેઠળ જારી આ આદેશમાં રિફાઇનરીઓને જણાવવામાં આવ્યું છે કે તે આવા પ્રોડયુસ કરવામાં આવેલા એલપીજીને ફક્ત ત્રણ પબ્લિક સેક્ટર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (એચપીસીએલ)ને ઉપલબ્ધ કરાવે. રિફાઇનરીઓને પેટ્રોકેમિકલ બનાવવા માટે પણ પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આદેશમાં જણાવવામાં આવ્યું છે કે તમામ ઓઇલ રિફાઇનરિંગ કંપનીઓ પેટ્રોકેમિકલ પ્રોડક્ટસ અથવા આવા બીજા ડાઉનસ્ટ્રીમ ડેરિવેટિઝ બનાવવા માટે પ્રોપેન અથવા બ્યુટેન સ્ટ્રીમને ડાયવર્ટ, ઉપયોગ, પ્રોસેસ, ક્રેક, કન્વર્ટ અથવા અન્ય કોઇ રીતે ઉપયોગ કરી શકશે નહીં.
ભારતમાં ૩૩.૦૮ કરોડ સક્રિય એલપીજી ગ્રાહક છે. સરકાર કોઇ પણ અવરોધ વગર સપ્લાય જાળવી રાખવા માંગે છે. આ અગાઉ સરકારે યુક્રેન યુદ્ધ પછીના સમયમાં એસ્મા પ્રોવિઝિન લાગુ કર્યુ હતું.
દેશમાં પેટ્રોલ અને ડીઝલ બનાવવા માટે જરૂરી ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક છે પણ ૩૦ ટકા ગેસ સપ્લાય પણ અસર પડી છે.










