![]()
Odisha SCB Hospital Fire News : ઓડિશાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે જ અહીં SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 10થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગમાં લગભગ પાંચથી વધુ લોકો ગંભીર રીતે દાઝી જતાં ઈજાગ્રસ્ત થયા હતા.
સીએમ ઘટનાસ્થળે રવાના
આ ઘટનાની જાણકારી મળતાં જ મુખ્યમંત્રી મોહન માંઝી ઘટનાસ્થળે પહોંચવા નીકળી ગયા હતા. ઘટનામાં મૃત્યુ પામનારા 10 લોકો દર્દીઓ હોવાની જ શક્યતા છે.
ICU પણ આગમાં લપટાયું
મળતી માહિતી અનુસાર સોમવારે સવારે 3 વાગ્યે ટ્રોમા કેયર સેન્ટરમાં આગ લાગી હતી. જોત જોતામાં આગની લપેટમાં ICU વૉર્ડ પણ આવી ગયું હતું. તે સમયે આઈસીયુ વૉર્ડમાં અનેક ગંભીર દર્દીઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હોવાથી આ કરુણાંતિકા સર્જાઈ હતી. આગની જાણકારી મળતાં જ ફાયરબ્રિગેડને માહિતી આપવામાં આવી હતી. જોકે સમયસર ફાયરબ્રિગેડે પહોંચીને અનેક દર્દીઓના જીવ બચાવી લીધા હતા.
સીએમ ઘટનાસ્થળે પહોંચ્યા
મુખ્યમંત્રી મોહન માઝીએ ઘટનાસ્થળે પહોંચી પીડિત પરિવારો સાથે મુલાકાત કરી તેમને સાંત્વના આપી હતી. આ સાથે સ્થિતિનું નિરીક્ષણ કરતાં રેસ્ક્યૂ કાર્યમાં સામેલ તમામ લોકોને સૂચનો કર્યા હતા. તેમણે જણાવ્યું કે જે વૉર્ડમાં આગ લાગી હતી તેમાં 23 દર્દી દાખલ હતા. બચાવ અભિયાન શરૂ થાય એ પહેલાં જ 7 લોકો જીવ ગુમાવી ચૂક્યા હતા. જોકે અન્ય ત્રણ લોકો ગુંગળામણ અને ઈજાને કારણે થઇ હતી.










