અમદાવાદ, સોમવાર
સોશિયલ મિડિયાના વધતા જતા ઉપયોગના કારણે બાળકોમાં ઝનૂની વૃત્તિ વધી રહી છે જેના કારણે વાલીઓ ચિંતિત બન્યા છે. ખોખરાની સેવેન્થ-ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ છરી મારીને વિદ્યાર્થીની હત્યા કરી હતી તેમજ ઘાટલોડિયામાં પણ અગાઉ વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે ગઇકાલે બાપુનગરમાં ખાનગી ટયુશન ક્લાસમાં સાથે અભ્યાસ કરતા સગીરવયના બે વિદ્યાર્થીઓ વચ્ચે બેસવા બાબતે તકરાર થઇ હતી તેની અદાવતમાં એક સગીર વિદ્યાર્થીએ બીજા સગીર વિદ્યાર્થીના પેટના ભાગે છરો માર્યા હતા અને જાતે જ મિત્રની મદદથી હોસ્પિટલમાં લઇ ગયો હતો. આ બનાવ અંગે બાપુનગર પોલીસે હુમલો કરનાર કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હીરાવાડી પાસે સગીરે બીજા સગીર વિદ્યાર્થીને છરો માર્યા બાદ મિત્રની મદદથી હોસ્પિટલમાં લઇ ગયો હતો, પોલીસે સગીર સામે ગુનો નોંધ્યો
બાપુનગરમાં હીરાવાડી પાસે રહેતા ૧૬ વર્ષના સગીરે સાથે અભ્યાસ કરતા કૃષ્ણનગરમાં રહેતા ૧૭ વર્ષના સગીર સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી સગીર વિઘાર્થી સૈજપુર બોઘા ખાતે આવેલી ખાનગી સ્કૂલમાં આરોપી સગીર સાથે ઘોરણ-૧૧માં અભ્યાસ કરે છે.










