![]()
– પોલીસ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
– અન્ય ઈજાગ્રસ્ત યુવાનને ઓડ બાદ વધુ સારવાર અર્થે આણંદ ખસેડવામાં આવ્યા
આણંદ : આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુરેલી ગામ પાસે રવિવારે સાંજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૩૨ વર્ષીય મહેશભાઈ ભરતભાઈ પરમારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
ગત તા.૧૫ માર્ચ ૨૦૨૬ના રોજ સાંજે આશરે ૦૭.૧૫ વાગ્યે મહેશભાઈ તેમના મિત્ર સંજયભાઈ અશોકભાઈ ચૌહાણ સાથે મોટરસાયકલ પર બેસીને ડાકોરથી પરત ફરી રહ્યા હતા. ફરિયાદ મુજબ, સુરેલી-ભરોડા રોડ પર આવેલા જી.ઈ.બી. સ્ટેશન પાસે બાઇક ચાલક સંજયભાઈએ પોતાનું વાહન બેફીકરાઈ અને ગફલતભરી રીતે ચલાવતા સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બાઇક રોડ પર સ્લીપ ખાઈ જતા બંને મિત્રો પટકાયા હતા. મહેશભાઈ ભરતભાઈ પરમારને માથાના તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. સંજયભાઈ અશોકભાઈ ચૌહાણ (બાઇક ચાલક)ને પણ ઇજાઓ પહોંચી હતી. તેમને પ્રાથમિક સારવાર માટે ૧૦૮ મારફતે ઓડ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે આણંદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે મૃતકના નાના ભાઈ રાકેશભાઈ ભરતભાઈ પરમારે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બાઇક ચાલક સંજયભાઈ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.










