![]()
– ભાજપના જ હોદ્દેદારે સત્તાના વહીવટ સામે બંડ પોકાર્યો
– 7 દિવસમાં જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે નોટિસ આપી ખુલાસો પૂછવામાં નહીં આવે કાર્યવાહીની ચીમકી
નડિયાદ : નડિયાદ તાલુકાની ચકલાસી નગરપાલિકામાં ભાજપના શાસનમાં જ હોદ્દેદારો અને વહીવટી તંત્ર વચ્ચે ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પાલિકાના કારોબારી ચેરમેન સુરેશભાઈ પુનમભાઈ વાઘેલાએ પ્રજાની પાયાની તકલીફો દૂર કરવામાં નિષ્ફળ રહેલા ચીફ ઓફિસર અને એન્જિનિયર સામે એક પછી એક અનેક લેખિત રજૂઆતો કરી ભ્રષ્ટાચાર અને બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા છે. શાસક પક્ષના જ હોદ્દેદારે પોતાની સરકારના વહીવટી માળખા સામે સવાલો ઉઠાવતા સમગ્ર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ચકલાસીમાં વિકાસના નામે લાખો અને કરોડો રૂપિયાના કામોમાં મોટાપાયે ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાના પુરાવા સાથે કારોબારી ચેરમેને રજૂઆત કરી છે. ખાસ કરીને અમૃત ૨.૦ યોજના હેઠળ ગાર્ડન ડેવલોપમેન્ટ અને બ્યુટીફિકેશનના કામોમાં નીતિ-નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું બહાર આવ્યું છે. તળાવની સાફ-સફાઈ અને ઉંડાઈ કરવાની કામગીરી માત્ર કાગળ પર રહી હોય અથવા તેમાં ભારે વેઠ ઉતારવામાં આવી હોય તેવા આક્ષેપ થયા છે. બાગ-બગીચામાં સીમેન્ટ રેતીના થાંભલાઓ પણ ગુણવત્તા વિહોણા હોવાથી તૂટી ગયા છે, જ્યારે રેલિંગ અને ફેન્સિંગના કામમાં ફિનીશિંગનો અભાવ જોવા મળી રહ્યો છે. આ ગેરરીતિઓ માટે સીધા જ એન્જિનિયર અને કન્સ્ટ્રક્શન એજન્સીને જવાબદાર ગણાવી તેમની સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરાઈ છે.
શહેરમાં પીવાના પાણીની લાઈનમાં લીકેજ હોવા છતાં તંત્ર દ્વારા ત્રણ મહિનાથી ખાડો ખોદીને પડતો મુકવામાં આવ્યો છે, જેના કારણે ગંદુ પાણી લોકોના ઘરો સુધી પહોંચી રહ્યું છે અને સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થયું છે. આટલું જ નહીં, મેઈન ચોકડી અને અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ઉભા થયેલા કોમ્પ્લેક્સ અને ગોડાઉનો સામે કલેક્ટરના હુકમ છતાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. કારોબારી ચેરમેને આક્ષેપ કર્યો છે કે, ચીફ ઓફિસર અને જવાબદાર અધિકારીઓ દ્વારા શાસક પક્ષના હોદ્દેદારોની રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવતી નથી, જેના કારણે સામાન્ય જનતાના કામો અટવાયા છે અને સરકારી ગ્રાન્ટનો વેડફાટ થઈ રહ્યો હોય તેવું પ્રતીત થાય છે. તળાવમાં ગંદકીના સામ્રાજ્ય અને મંદિરની આસપાસની અસ્વચ્છતા મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કડક પગલાં ભરવામાં આવ્યા નથી. પાલિકાની આવક વધારવા માટે બાંધકામ પરમિશનના કાયદેસરના દંડ વસૂલવાની અને અનધિકૃત બાંધકામો સીલ કરવાની સૂચનાનું પણ પાલન થતું નથી. આ સમગ્ર મામલે કારોબારી ચેરમેને ચીમકી ઉચ્ચારી છે કે જો સાત દિવસમાં જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે નોટિસ આપી ખુલાસો પૂછવામાં નહીં આવે તો આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. ભાજપના જ હોદ્દેદારે પોતાની સત્તાના વહીવટ સામે બંડ પોકારતા પાલિકાના સત્તાધીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વિકાસના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારની આશંકા
ચકલાસીમાં ચાલી રહેલા બ્યુટીફિકેશનના કામોમાં ઓરિજિનલ નકશા વગર જ કામગીરી કરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. એજન્સી દ્વારા સમય મર્યાદામાં કામ પૂર્ણ ન કરવા છતાં તેમને બ્લેક લિસ્ટ કરવાના બદલે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. માટી પુરવાની કામગીરી ક્યાંથી કરવામાં આવી તેની સ્પષ્ટતા કરવા પણ પુરાવા સાથે માંગ કરવામાં આવી છે. લાખો રૂપિયા ખર્ચવા છતાં કામગીરીમાં ફિનીશિંગ ન હોવાથી સરકારી નાણાંનો વ્યય થયો હોવાની રજૂઆત છે.
દબાણ હટાવવામાં તંત્રના બેવડા ધોરણો
શહેરના મેઈન રોડ અને પેટ્રોલ પંપ આસપાસના વિસ્તારોમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો મુદ્દે કલેક્ટરના હુકમનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તંત્ર દ્વારા માત્ર નાના માણસો સામે કાર્યવાહી કરવામાં આવે છે અને મોટા ગજાના કોમ્પ્લેક્સ તેમજ ગોડાઉનોને છાવરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કારોબારી ચેરમેને ચીફ ઓફિસરને ભીંસમાં લીધા છે. બાંધકામ પરમિશન વગર ચાલતા પ્રોજેક્ટ્સને સીલ મારી પાલિકાની આવક વધારવા માટે રજૂઆત કરાઈ છે.
આરોગ્ય સાથે ચેડાં કરતી પાણીની લાઈન
સૂર્યનગર રોડ પર પાણીની ટાંકી પાસે બે મહિનાથી લીકેજ રીપેર કરવાના બહાને ખાડો ખોદીને તંત્ર ભૂલી ગયું છે. આ ખાડામાં ગંદુ પાણી ભરાઈ રહેતું હોવાથી પીવાના પાણીના નળમાં પણ દૂષિત પાણીની આવક શરૂ થઈ છે. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર મૌખિક રજૂઆત છતાં વહીવટી તંત્રના પેટનું પાણી હલતું નથી. લોકોના સ્વાસ્થ્ય સાથે થતા આ ચેડાં રોકવા માટે તાત્કાલિક ધોરણે લીકેજ રીપેર કરી રીપોર્ટ તૈયાર કરવા આદેશ અપાયા છે.










