![]()
કુલ 41 આરોપીઓમાંથી એકનું મોત અને 35 મુક્ત
જે આરોપીઓના પાંચ વર્ષની સજા થઈ છે એ તમામે કાચાં કામના કેદી તરીકે છ વર્ષથી વધુ જેલવાસ ભોગવી લીધો હોવાથી મજરે મળશે
જૂનાગઢ: બહુચર્ચિત ઉના કાંડના કેસમાં વેરાવળ સેશન્સ કોર્ટે આજે પાંચ આરોપીને પાંચ પાંચ વર્ષની સજા અને પાંચ પાંચ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. કુલ ૪૧ આરોપીઓ સામે ચાર્જશીટ થયું હતું જેમાંથી એકનું મોત થયું હતું, પાંચને સજા થઈ છે જ્યારે ૩૫ શખ્સને મુક્ત કરાયા છે. જે તકસીરવાનોને પાંચ વર્ષની સજા થઈ છે તેઓએ છ વર્ષ કરતા વધુ સમય જેલ ભોગવી લીધી છે, જે સજા મજરે મળશે આથી આ આરોપીઓને જેલમાં જવું નહિ પડે.
ઉના તાલુકાના સમઢીયાળામાં રહેતા વશરામભાઇ બાલુભાઇ સરવૈયા તેના બાલુભાઈ વિરાભાઈ સરવૈયા, ભાઈ રમેશભાઈ, કાકાનો દીકરો અશોક સરવૈયા અને બીજલ ઉગા સરવૈયા તા.૧૧-૭-૨૦૧૬ના બેડીયા રોડ પર મૃતગાયનું ચામડું ઉતારતા હતા ત્યારે પાંચ શખ્સોએ આવી ‘અમે ગૌરક્ષકો છીએ, તમે ગાયને મારી નાખી છે’ એમ કહી પાઇપ, લાકડી, લોખંડની પટ્ટી વડે માર મારી બાદમાં કારમાં ઉના લઈ જઈ અર્ધનગ્ન કરી કાર પાછળ બાંધી બેફામ માર માર્યો હતો. આ અંગેના વીડિયો વાયરલ થયા બાદ દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. આ મામલે પોલીસ કર્મીઓ સહિતના આરોપીઓ સામે ગુનો ગુનો દાખલ થયો હતો.
આ કેસ વેરાવળ ખાસ એટ્રોસિટી કોર્ટમાં ચાલ્યો હતો. મુખ્ય સરકારી વકીલ કેતનસિંહ વાળાએ ફરિયાદ પક્ષે રોકાયેલા વકીલ એમ.જી. પરમાર અને હાઇકોર્ટના વકીલ ગોવિંદભાઇ પરમાર સાથે સંકલન કરી ૨૪૦ સાહેદોને તપાસ્યા હતા તેમજ ૨૩૯ મૌખિક પુરાવા અને ૩૪૦ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. આ પુરાવાઓ અને દલીલોને ધ્યાને લઇ વેરાવળ ખાસ એટ્રોસિટી કેસના જજ જે.જે. પંડયાએ ગઈકાલે પાંચ આરોપીઓને તકસીરવાન ઠરાવ્યાં હતા. આજે કોર્ટે સામતેરના રમેશ છગન જાદવ (ઉ.વ.૩૯), ભીમપરાના રાકેશ રસિક જોશી (ઉ.વ.૨૬), બેડીયાના નાગજી ડાયા વાણીયા, ઉનાના પ્રમોદગીરી રમેશગીરી ગોસ્વામી (ઉ.વ.ર૯) અને બળવંતગીરી ઉર્ફે બલી ધીરૂ ગોસ્વામીને પાંચ-પાંચ વર્ષની કેદ અને પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ ૧૦ દિવસની સજાનો હુકમ કર્યો છે.
આ કેસમાં કુલ ૪૧ સામે ચાર્જશીટ થયું હતું જેમાંથી એક આરોપીનું મોત થયું હતું, પાંચને સજા થઈ છે જ્યારે ૩પ મુક્ત થયા છે. જે પાંચ આરોપીને સજા થઈ છે તેઓ છ વર્ષની જેલ ભોગવી ચુક્યા છે. આજે તેને પાંચ વર્ષની સજાનો હુકમ થયો છે જેમાં કોર્ટે કાચા કામના આરોપી તરીકે ભોગવેલી સજા મજરે મળવાપાત્ર છે આથી જેને સજા થઈ છે તેઓને હાલ જેલમાં નહી જવું પડે.
ક્યા આરોપીએ કેટલી સજા ભોગવી
રમેશ જાદવે ૬ વર્ષ ૧૩ દિવસ, રાકેશ જોષીએ ૬ વર્ષ ૧પ દિવસ, નાગજી વાણીયાએ ૬ વર્ષ ૧પ દિવસ, પ્રમોદગીરી ગોસ્વામીએ ૬ વર્ષ ૧૬ દિવસ અને બળવંતગીરી ગોસ્વામીએ પણ ૬ વર્ષ ૧૬ દિવસની જેલની સજા કાચા કામના કેદી તરીકે ભોગવી છે. આ ઉપરાંત અન્ય આરોપી જે મુક્ત થયા છે તેમાંથી પણ મોટાભાગનાઓએ બે મહિનાથી માંડી બે વર્ષ સુધીની જેલ ભોગવી છે.
હત્યાનો પ્રયાસ, લૂંટ જેવી કલમ લગાવી પરંતુ પુરાવા ન મળ્યા
બહુચર્ચિત આ કેસમાં હત્યાનો પ્રયાસ, લૂંટ, મારામારી, ધમકી, આઈટી એક્ટ સહિતની કલમો મુજબ ગુનો દાખલ થયો હતો પરંતુ કોર્ટે આઈપીસી ૩ર૩, ૩ર૪, ૩૪ર, પ૦૪ અને એટ્રોસિટી એક્ટની કલમ મુજબ જ આરોપીઓને સજા ફટકારી છે. જે ભારે કલમો લગાવી હતી એ મુજબના પુરાવાઓ મળ્યા ન હતા.










