![]()
Jamnagar News : જામનગર તાલુકાના નાની અને મોટી બાણુંગાર ગામમાં એક જ પરિવારના બે આશાસ્પદ યુવાનોના આપઘાતથી અરેરાટી વ્યાપી ગઈ છે. કુટુંબી મામા સાથે થયેલી સામાન્ય બોલાચાલી અને ઝઘડાનું મનમાં લાગી આવતા બે પિતરાઈ ભાઈઓએ મોતને વહાલું કરી લેતા પરિવારમાં માતમ છવાયો છે.
શું હતી સમગ્ર ઘટના?
પ્રાપ્ત વિગતો અનુસાર, મોટી બાણુંગાર ગામમાં રહેતા 26 વર્ષીય ખુમલોભાઈ રણછોડભાઈ બુડોરીયાએ પોતાની વાડીમાં ઇલેક્ટ્રિક પોલ સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ થતા જ પંચકોશી એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હજુ આ આઘાત શમ્યો ન હતો ત્યાં જ નાની બાણુંગારમાં રહેતા ખુમલોભાઈના પિતરાઈ ભાઈ સંદીપભાઈ ગણપતભાઈ બુડારીયાએ પણ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. ગંભીર હાલતમાં તેમને જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો : ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કારની આગ ઘર સુધી ફેલાઈ, અનેક સિલિન્ડર બ્લાસ્ટ થતાં 7ના મોત
ઝઘડાનું મનમાં લાગી આવ્યું
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, બંને ભાઈઓને તેમના કુટુંબી મામા સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ બોલાચાલી બાદ બંને યુવાનોને મનમાં લાગી આવ્યું હતું અને આવેશમાં આવી જઈને તેમણે આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. હાલ પંચકોશી પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. એક જ પરિવારના બે યુવાનોના મોતના સમાચારથી બાણુંગાર પંથકમાં ભારે ગમગીની ફેલાઈ ગઈ છે.










