![]()
Kundan Thakur Encounter: બિહારના મોતિહારીમાં મંગળવારે વહેલી સવારે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને પોલીસને પડકાર આપનાર કુખ્યાત ગુનેગાર કુંદન ઠાકુર વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ ઘટના ચકિયા પોલીસ સ્ટેશન વિસ્તાર રામડીહા ગામમાં બની હતી. ગોળીબારમાં બે ગુનેગારો માર્યા ગયા છે. બીજી તરફ STFનો એક જવાન પણ શહીદ થઈ ગયો છે. આ એન્કાઉન્ટરમાં બે ગુનેગારોને ઠાર કરી દેવામાં આવ્યા છે જેમાં કુંદન ઠાકુર અને પ્રિયાંશુ દુબે સામેલ છે. STF જવાનનું નામ શ્રીરામ યાદવ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
10 થી 15 પોલીસવાળાની લાશો પડશે
આ ઘટના ફક્ત એક એન્કાઉન્ટર નહોતી, પરંતુ તે પહેલાની કહાની ઘણી ખતરનાક અને ચોંકાવનારી છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા કુખ્યાત ગુનેગાર કુંદન ઠાકુરનું એક ઓડિયો રેકોર્ડિંગ હવે સામે આવ્યું છે, જેણે પોલીસ અને જનતા બંનેને ચોંકાવી દીધા છે. આ ઓડિયોમાં કુંદન ઠાકુર જે બેખોફ અંદાજમાં પોલીસને ધમકી આપતો સંભળાય રહ્યો છે તે દર્શાવે છે કે તેનું મનોબળ કેટલું ઊંચું થઈ ગયું હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઓડિયો એન્કાઉન્ટરના બે દિવસ પહેલાનો છે, જેમાં કુંદન ઠાકુરે ચકિયાના એડિશનલ સ્ટેશન હાઉસ ઓફિસરને ફોન કરીને સીધો પડકાર ફેંક્યો હતો. તેણે કહ્યું કે, તમે જ્યાં ઇચ્છો ત્યાં સમય અને સ્થળ નક્કી કરો, હું ત્યાં અગાઉથી પહોંચી જઈશ. 10 થી 15 પોલીસવાળાની લાશો પડશે અને તમે મને પકડી પણ નહીં શકશો.
આટલું જ નહીં તેણે પોલીસ પર તેના પરિવારને હેરાન કરવાનો આરોપ લગાવતા અહીં સુધી કહી દીધું હતું કે, ‘જો મારા પરિવારને તંગ કર્યો, તો હું પણ તમારા પરિવારને છોડીશ નહીં.’ વાતચીત દરમિયાન તેના અવાજમાં ન તો ડર હતો ન તો ખચકાટ, પરંતુ તે એક ખુલ્લો પડકાર હતો. ઓડિયોમાં કુંદન ઠાકુર વારંવાર કહી રહ્યો હતો કે, ‘હું ભાગવા વાળો નથી. જો એન્કાઉન્ટર થશે તો અમે ભાગીશું નહીં, પરંતુ સામેથી તેનો સામનો કરીશું. જ્યારે પોલીસે પૂછ્યું કે, શું તું ધમકી આપી રહ્યો છે? ત્યારે તેણે જવાબ આપ્યો કે હું ધમકી નથી આપી રહ્યો, સલાહ આપી રહ્યો છે.’
આ પણ વાંચો: ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, એક જ પરિવારના 6ના મોત
પોલીસના રડાર પર હતો કુંદન ઠાકુર
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુંદન ઠાકુર ઘણા સમયથી પોલીસના રડાર પર હતો. તેની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. આ વચ્ચે જ પોલીસને તેના ઠેકાણા વિશે વિશ્વસનીય માહિતી મળી, ત્યારબાદ મોડી રાત્રે એક સ્પેશિયલ ટીમે વિસ્તારને ઘેરી લીધો હતો. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચતાની સાથે જ હાજર ગુનેગારોએ ચેતવણી આપ્યા વિના ગોળીબાર શરૂ કરી દીધો. અચાનક થયેલા ગોળીબારમાં STFનો એક જવાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ સમાચારથી સમગ્ર પોલીસ વિભાગમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી. પોતાના સાથીદારને ગુમાવ્યા બાદ પણ પોલીસ ટીમે પીછે હઠ ના કરી. સ્વબચાવમાં જવાબી કાર્યવાહી કરતા પોલીસે પણ ગોળીબાર કર્યો, જેમાં કુંદન ઠાકુર સહિત બે ગુનેગારો ઘટના સ્થળ પર જ માર્યા ગયા. થોડા સમય માટે આખો વિસ્તાર ગોળીબારના અવાજથી ગુંજતો રહ્યો.
પોલીસને સતત આપી રહ્યો હતો ધમકી
પૂર્વ ચંપારણના પોલીસ અધિક્ષક (એસપી) સ્વર્ણ પ્રભાતે જણાવ્યું કે, ‘કુંદન ઠાકુર પોલીસને સતત ધમકી આપી રહ્યો હતો અને ઘણા દિવસોથી તેને પકડવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. પોલીસે તેના ઠેકાણાને ઘેરી લેતાની સાથે જ ગુનેગારોએ હુમલો કરી દીધો, જેના કારણે જવાબી કાર્યવાહી કરવાની ફરજ પડી. આ કાર્યવાહી દરમિયાન જે મકાનમાં ગુનેગારો છુપાયેલા હતા તે મકાનના માલિક ઉજ્જવલ કુમાર અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે. ગુનેગારોને કેવી રીતે આશ્રય આપવામાં આવી રહ્યો હતો તે જાણવા માટે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટના બાદ વિસ્તારમાં ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે. દરેક મુલાકાતીઓ પર નજર રાખવામાં આવી રહી છે, અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.’










