![]()
– વિશાખાપટ્ટનમથી દિલ્હી આવતાં વિમાનનું એક એન્જિન ફેઇલ
– દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરી રન વે 28 ખાલી કરાવવામાં આવ્યો હતો
નવી દિલ્હી : વિશાખાપટ્ટનમથી દિલ્હી આવી રહેલી ૧૬૦ પ્રવાસીઓ સાથેની ઇન્ડિગો એરલાઇન્સની ફલાઇટ ૬ઇ ૫૭૯નુ એન્જિન ફેઇલ્યોર થતાં તેનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે સવારે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. બોઇંગ ૭૩૭ વિમાનું એન્જિન બગડયુ હોવાની જાણ થતાં જ એરપોર્ટ પર ૧૦.૩૯ વાગ્યે ફૂલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. એ પછી ૧૦.૫૯ વાગ્યે તમામ બંદોબસ્ત વચ્ચે વિમાનનું સહીસલામત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઇને ઇજા થઇ નથી.
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિગ કરતાં પૂર્વે પાઇલટે વિમાનનું એક એન્જિન કામ કરતું ન હોવાનું જણાવ્યું હતું. જેને પગલે ઇમરજન્સી પ્રોટોકોલ લાગુ પાડવામાં આવ્યો હતો. ઇમરજન્સી જાહેર કરી રન વે ૨૮ને ખાલી કરાવવામાં આવ્યો હતો. ખાલી રન વે પર લાયબંબા, એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમને તૈયાર રાખવામાં આવી હતી. પરંતુ વિમાનનું સહીસલામત લેન્ડિંગ થતાં મોટો અકસ્માત થતાં રહી જતાં અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ઇન્ડિગો એરલાઇન્સે નિવેદન બહાર પાડી જણાવ્યું હતું કે ૨૮ માર્ચે વિશાખાપટ્ટનમથી દિલ્હી જઇ રહેલી ફલાઇટ ૬ઇ ૫૭૯ લેન્ડિંગ કરે તે પહેલાં ટેકનિકલ ખામી જણાઇ હતી. સાવચેતીના પગલાં તરીકે નિયમાનુસર પાઇલટે પ્રાયોરિટી લેન્ડિંગ માટે વિનંતી કરી હતી. વિમાન સહીસલામત ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ અરપોર્ટ પર ઉતર્યું હતું. તમામ સત્તાવાળાઓને આ બાબતની તત્કાળ જાણ કરવામાં આવી હતી અને હાલ વિમાનની જરૂરી તપાસ કરવામાં આવી રહી છે.
ફેબુ્રઆરીમાં ચોથી તારીખે ટર્કિશ એરલાઇન્સની નેપાળથી રવાના થયેલી ફલાઇટમાં ૨૩૬ જણાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે વિમાને ઉડ્ડયન શરૂ કર્યું તેની ચાર જ મિનિટમાં તેના જમણાં એન્જિનમાં આગ લાગતાં તેનું કોલકાતા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ઇસ્તંબુલ જતી આ ફલાઇટ પાસે કાઠમંડુ પાછાં ફરવાનો વિકલ્પ હતો પણ વિમાન લાંબુ અંતર કાપી શકે તેમ ન હોઇ તેનું કોલકાતા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિં ગ કરાવવામાંઆવ્યું હતું.આ ઘટનામાં કોઇને ઇજા થઇ નહોતી.









