![]()
Vadodara Court : નિઝામપુરા વિસ્તારમાં થયેલા જીવલેણ હુમલા કેસમાં સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી તન્મય ઉર્ફે સન્ની રવિકાંત જાદવ (રહે. શ્રીજી સોસાયટી, સમા) ની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી છે.
તા.26 ફેબ્રુઆરીના રોજ ફરિયાદી પોતાના મિત્ર સાથે નિઝામપુરા એસટી ડેપો ખાતે ચા પીવા ગયા હતા. આ દરમિયાન અગાઉના ઝઘડાની અદાવત રાખી આરોપી તન્મયે ફરિયાદીને ધમકી આપી હતી કે, હું એક વર્ષથી પિસ્તોલ લઈને તારું કામ તમામ કરવા ફરી રહ્યો છું, આજે તું ઘાટમાં આવ્યો છે, તને પતાવી દેવાનો છે.
આ પછી સહઆરોપી ચિરાગ ઉર્ફે જે.ડી. ચીનુભાઈ જાદવ, વિરાજ અંબાલાલ પરમારએ ફરિયાદીને પકડી રાખ્યો હતો અને તન્મયે હુમલો કરી છાતીના ભાગે ચાકુનો ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી. હાલ ફરિયાદી સારવાર હેઠળ છે. આ બનાવ અંગે ફતેહગંજ પોલીસ મથકે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.
સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે તન્મય મુખ્ય આરોપી છે અને તેની વિરુદ્ધ અગાઉ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે. ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજમાં પણ તેની હાજરી સ્પષ્ટ જોવા મળે છે. ગુનાની ગંભીરતા ધ્યાનમાં લેતા જામીન અરજી નામંજૂર કરવી જોઈએ.
કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીએ ફરિયાદીના છાતીના ભાગે ચાકુ મારી જીવલેણ ઇજા પહોંચાડી છે, ગુનો ગંભીર પ્રકારનો છે અને આજીવન કેદની સજાને પાત્ર છે, ગુનાની તપાસ હજુ નાજુક તબક્કામાં ચાલી રહી છે, આરોપીને જામીન પર મુક્ત કરાય તો સાક્ષી-પુરાવા સાથે ચેડા થવાની શક્યતા નકારી શકાય તેમ નથી
આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને પેરિટીનો લાભ આપવાનો ઇન્કાર કરી તેની જામીન અરજી નામંજૂર કરી છે.










