– ISIની મદદથી પાકે. લશ્કરી સંગઠનોને એક્ટિવ કરી પ્લાન ઘડયો
– ટેલ્કમ પાઉડરના બનાવટી દસ્તાવેજોના આધારે અફગાનિસ્તાન અને ઈરાનના રસ્તે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે
નવી દિલ્હી : પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ ચારેકોર થઈ રહી છે અને આતંકવાદીઓ તથા આતંકી કનેક્શન શોધવા માટે દેશભરમાં તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં એનઆઈએ દ્વારા મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. બે વર્ષ પહેલાં મુન્દ્રા પોર્ટ ખાતે પકડાયેલા ૨૧,૦૦૦ કરોડ રૂપિયાના ૩૦૦૦ કિલો ડ્રગ્સના કેસનું પહલગામ આતંકવાદી હુમલા સાથે જોડાણ હોવાનું એનઆઈએ દ્વારા જણાવવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટમાં એનઆઈએ દ્વારા રજૂઆત કરવામાં આવી કે, લશ્કર-એ-તૈયબા દ્વારા આઈએસઆઈની મદદથી ભારતમાં જે નશાનો કારોબાર ચલાવાઈ રહ્યો છે તેમાં થતી કમાણીનો ઉપયોગ પણ આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે જ કરાઈ રહ્યો છે. એનઆઈએ તરફથી હાજર રહેલા વકીલે જણાવ્યું કે, ટેલ્કમ પાઉડરના બનાવટી દસ્તાવોજોના આધારે અફઘાનિસ્તાન અને ઈરાનના રસ્તે ભારતમાં ડ્રગ્સ ઘુસાડાય છે. તેના જ રકમ ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં કરાય છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ દ્વારા પહલગામમાં પ્રવાસીઓ સાથે જે કરાઈ રહ્યું છે તે જઘન્ય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, એક તરફ ભારતમાં નશાનો વેપાર ચલાવાઈ રહ્યો છે અને બીજી તરફ આ જ નશાખોરીમાંથી મળતી રકમનો ઉપયોગ ભારતમાં જ આતંકવાદ ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, મુન્દ્રા પોર્ટ ઉપરથી જે ૨૧,૦૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું હતું તે કેસ પણ પહલગામ આતંકી હુમલા સાથે સંકળાયેલો જ છે. આ પોર્ટ ઉપરથી દેશમાં ઘુસાડાયેલા ડ્રગ્સ વેચીને જ જે રકમ આવી તેના દ્વારા આતંકીઓને મદદ કરાઈ હશે. એનાઈએ દ્વારા વધુમાં દલીલ કરવામાં આવી કે, ઈરાનીયન વચેટીયાઓ દ્વારા મોકલાવવામાં આવતા નશાકારક પદાર્થો, હેરોઈન અને ડ્રગ્સ નેબ સરાઈ તથા દિલ્હીના અલિપુરમાં આવેલા વેરહાઉસોમાંથી ઝડપાયા હતા. ઉલ્લેખનીય છે કે, સોલિસીટર જનરલ તુષાર મહેતાએ પણ જણાવ્યું હતું કે અમારી તપાસમાં ખૂલ્યું છે કે આ કેફી દ્રવ્યોના વેચાણ દ્વારા મેળવાયેલી રકમનો ઉપયોગ લશ્કર-એ-તૈયબા દ્વારા તેની આતંકી પ્રવૃત્તિમાં કરવામાં આવ્યો હતો અને આ જ બાબતનો અહેવાલ અખબારોમાં છપાયો છે.
ઉલ્લેખનીય છે કે, સુરક્ષા એજન્સીઓ દ્વારા આ હુમલામાં સંડેવાયેલા ચાર આતંકીઓની ઓળખ છતી કરવામાં ાવી છે. તેમાંથી એક આદીલ ગુરી, બીજો આસિફ શેખ, ત્રીજો સુલેમાન શાહ અને ચોથો અબુ તાલ્હા છે. તેઓ મુસા, યુનુસ, આસિફ જેવા ઉનામ દ્વારા એકબીજાની સાથે વાત કરતા હતા અને કામગીરીક રતા હતા. સૂત્રો દ્વારા દાવો કરાયો છે કે, આ ચાર આતંકીઓમાંથી આદીલ ગુરી અને આસિફ શેખ અનુક્રમે અનંતનાગ અન સોપોરના રહેવાસી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા હુમલામાં બચી ગયેલા લોકોના વર્ણનના આધારે તેમના સ્કેચ તૈયાર કરાયા છે અને સમગ્ર દેશમાં ફરતા કરાયા છે. આ તમામ આતંકીઓ સૈન્યના યુનિફોર્મમાં આવ્યા હતા અને લોકોની હત્યા કરી નાસી ગયા હતા.