Kedarnath Helicopter Booking 2026: વર્ષ 2026માં ચારધામ યાત્રાનો પ્રારંભ 19 એપ્રિલથી થઈ રહ્યો છે, જ્યારે બાબા કેદારનાથના કપાટ શ્રદ્ધાળુઓ માટે 22 એપ્રિલના રોજ ખોલવામાં આવશે. આ યાત્રા શરૂ થાય તે પહેલા જ આગામી 15 એપ્રિલ 2026ના રોજ સાંજે 6 વાગ્યાથી કેદારનાથ હેલિકોપ્ટર સર્વિસ માટેનું બુકિંગ શરૂ કરી દેવાશે. જે શ્રદ્ધાળુઓ હેલિકોપ્ટર દ્વારા કેદારનાથના દર્શન કરવા માંગતા હોય, તેઓ ઓનલાઈન માધ્યમથી પોતાની ટિકિટ બુક કરાવી શકશે. જણાવી દઈએ કે, અગાઉ 11 એપ્રિલ (આજ)થી બુકિંગની શરૂઆત થવાની હતી. જોકે હવે તારીખ બદલાઈ છે.
બુકિંગની પ્રક્રિયા અને સાવચેતી
ટિકિટ બુકિંગમાં પારદર્શિતા જળવાય અને છેતરપિંડી અટકે તે માટે વહીવટીતંત્ર દ્વારા માત્ર IRCTCની સત્તાવાર વેબસાઇટ heliyatra.irctc.co.in પર જ બુકિંગની સુવિધા આપવામાં આવી છે. શ્રદ્ધાળુઓએ અન્ય કોઈ વેબસાઇટ કે એજન્ટ દ્વારા ટિકિટ બુક ન કરવા વિનંતી કરવામાં આવી છે. બુકિંગ કરવા માટે યુઝરે પોતાના મોબાઈલ નંબર અને OTP દ્વારા લોગઈન કરવાનું રહેશે. ત્યારબાદ યાત્રાની તારીખ, હેલીપેડ અને સમયનો સ્લોટ પસંદ કરી, યાત્રીઓનું નામ, ઉંમર અને આધાર કાર્ડ નંબર જેવી વિગતો ભરીને ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. ખાસ નોંધનીય છે કે, આ માટે ઉત્તરાખંડ પર્યટન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પણ ફરજિયાત છે.
આ પણ વાંચો: આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર: OTP વગર પણ કરી શકશો KYC, જાણો આ નવી ઓફલાઈન સર્વિસ વિશે
હેલિકોપ્ટર સેવાનું ભાડું
કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવા ત્રણ મુખ્ય સ્થળોએથી સંચાલિત થાય છે, જેમાં આવવા-જવા બંનેનું ભાડું નીચે મુજબ છે:
ગુપ્તકાશીથી કેદારનાથ: અંદાજે 12,762 રૂપિયા
ફાટાથી કેદારનાથ: અંદાજે 10,164 રૂપિયા
સિરસીથી કેદારનાથ: અંદાજે 6,390 રૂપિયા
શ્રદ્ધાળુઓ પોતાની અનુકૂળતા મુજબ આ સ્થળો પરથી હેલિકોપ્ટર સેવાનો લાભ લઈ બાબા કેદારના દર્શન કરી શકશે. આ યાત્રા ભારત માટે ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વ ધરાવે છે અને ડિજિટલ બુકિંગને કારણે યાત્રીઓ માટે આ પ્રક્રિયા વધુ સરળ બની છે.











