![]()
મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાના ભંગનો મુદ્દો સામે આવ્યો છે. વોર્ડ નંબર. ૧૫ માં સૂર્યનગર બસ સ્ટેન્ડ નજીક ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય સરકારી જમીન પર બિનપરવાનગી રીતે ચલાવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે નોડલ અધિકારીને લેખિત ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ, રાજ્યમાં ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચાર સંહિતાનો અમલ ફરજીયાત બને છે, છતાં બીજેપી દ્વારા કોઈ સત્તાવાર મંજૂરી લીધા વિના સરકારી જમીનનો ઉપયોગ ચૂંટણી કાર્યાલય તરીકે કરવામાં આવી રહ્યો છે. આ પગલું આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ ગણાવી કોંગ્રેસે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
આ મુદ્દે રજૂઆતમાં વધુમાં ઉલ્લેખ કર્યો છે કે, આવા ગેરકાયદેસર વપરાશને કારણે ચૂંટણીની નિષ્પક્ષતા અને પારદર્શકતા પર અસર પડી શકે છે. તેથી આ કાર્યાલયને તાત્કાલિક બંધ કરાવી જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી તા. ૨૬ એપ્રિલે યોજાનાર હોવાથી, ચૂંટણી પ્રચાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આચાર સંહિતાનું કડક પાલન જરૂરી બન્યું છે.










