![]()
જૂનાગઢ જિલ્લામાં ‘સર’ બાદ મતાધિકારનાં સમીકરણો બદલાયાં : જે વિસ્તારોમાં ચોક્કસ પક્ષના પરંપરાગત મતો હતા ત્યાં નામ રદ થયા હોય તો તે પક્ષ માટે જોખમની ઘંટડી સમાન
જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લામાં સર (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરી બાદ પાંચેય વિધાનસભા મતવિસ્તારોમાં કુલ દોઢ લાખ જેટલા મતદારોના નામ રદ કરવામાં આવતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અનેક બેઠકો પર મોટા અપસેટ સર્જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
આટલી મોટી સંખ્યામાં મતદારોના નામ રદ થવા પાછળ સ્થળાંતર, ડુપ્લીકેશન અથવા અવસાન જેવા કારણો છે પરંતુ રાજકીય દ્રષ્ટિએ જોતા જે વિસ્તારોમાં ચોક્કસ પક્ષના પરંપરાગત મતો ગણાતા હતા, ત્યાં જો નામો રદ થયા હોય તો તે પક્ષ માટે જોખમની ઘંટડી સમાન છે. રાજકીય વિશ્લેષકોની નજરે કોને ફાયદો, કોને નુકસાન તે અંગે અનેક અટકળો વહેતી થઇ છે.
અત્યાર સુધી જે આંકડાઓના આધારે ઉમેદવારો જીતનો દાવો કરતા હતા તે સમીકરણો હવે બદલાઈ ગયા છે. હવે દરેક વોટ માટે ઉમેદવારોએ નવી રણનીતિ ઘડવી પડશે. સરની આ કામગીરી બાદ યોજાનારી આ પ્રથમ ચૂંટણી છે. 1.50 લાખ મતદારોની બાદબાકી બાદ જૂનાગઢ જિલ્લાનું રાજકીય ચિત્ર કેવું હશે તે તો પરિણામો જ બતાવશે પરંતુ હાલ તો આ આંકડાઓએ રાજકીય પક્ષો અને ઉમેદવારોની ઉંઘ ઉડાડી દીધી છે. અનેક ઠેકાણે અપસેટ સર્જાય તો નવાઈ નહીં. આની સમાંતરે, તંત્ર દ્વારા નામ રદ કરવાની પ્રક્રિયા બાદ 21,014 નવા મતદારોનો ઉમેરો કરવામાં આવ્યો છે, જે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. 21,000થી વધુ નવા ઉમેરાયેલા યુવા મતદારો જે તે બેઠકનું પરિણામ પલટાવવાની શક્તિ રાખે છે.










