અમદાવાદ/બોટાદ:
ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ બોળીયાની હત્યાના કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે આ કેસના મુખ્ય આરોપી જસ્મિન કોઠારીની આજીવન કેદની સજા યથાવત રાખી છે, જ્યારે બીજા આરોપી અસીમ ઉર્ફે મુનમુન સોલંકીને ‘પ્લી ઓફ એલીબી’ (ઘટના સમયે અન્ય સ્થળે હાજર હોવું) ના આધારે નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો આદેશ કર્યો છે.
ઘટનાની વિગત:
4 માર્ચ 2013ના રોજ બોટાદના પાળીયાદ રોડ પર આવેલા ‘પ્રિન્સ હેર આર્ટ’ સલૂનમાં કમલેશભાઈ બોળીયા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં જસ્મિન કોઠારીએ રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું અને અન્ય આરોપીએ ફારસીના ઘા ઝીંકી તેમની નિર્મમ હત્યા કરી હતી. આ કેસમાં બોટાદની સેશન્સ કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.
હાઈકોર્ટનું અવલોકન અને ચુકાદો:
આરોપી-૨ (જસ્મિન કોઠારી): હાઈકોર્ટે નોંધ્યું કે ફરિયાદીની જુબાની, મેડિકલ પુરાવા અને FSL રિપોર્ટથી સાબિત થાય છે કે જસ્મિન કોઠારીએ જ કમલેશભાઈ પર ગોળીબાર કર્યો હતો. આથી તેની આજીવન કેદની સજા બહાલ રાખવામાં આવી છે. જોકે, લૂંટ (Section 397 IPC) ના આરોપમાંથી તેને મુક્ત કરવામાં આવ્યો છે.
આરોપી-૧ (અસીમ ઉર્ફે મુનમુન સોલંકી): આ કેસમાં સૌથી મોટો વળાંક અસીમ સોલંકીની હાજરી બાબતે આવ્યો છે. અસીમ ઉર્ફ મુન મુન એ શરૂઆતથી જ દાવો કર્યો હતો કે ઘટના સમયે તે બોટાદ નહીં પણ ત્યાંથી 200 કિમી દૂર આણંદમાં હાજર હતો. તપાસ દરમિયાન પોલીસને આણંદના 13 સાક્ષીઓ અને મોબાઈલ લોકેશન (CDR) દ્વારા આ પુરાવા મળ્યા હોવા છતાં ચાર્જશીટમાં તે રજૂ કરવામાં આવ્યા નહોતા. હાઈકોર્ટે આ બાબતને ગંભીર ગણાવી અસીમ સોલંકીને નિર્દોષ જાહેર કર્યો છે. બચાવ પક્ષે વકીલશ્રી હર્ષિત ટોળીયા અને પાર્થ ટોળીયા એ ખૂબ જ અસરકારક દલીલો કરી હતી
તપાસ એજન્સી અને કોર્ટ પ્રત્યે કડક વલણ:
ન્યાયમૂર્તિ ઈલેશ જે. વોરા અને ન્યાયમૂર્તિ આર. ટી. વચ્છાણીની ખંડપીઠે તપાસ અધિકારી અને સરકારી વકીલ સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, આરોપીની નિર્દોષતા સાબિત કરતા પુરાવાઓ હોવા છતાં તેને કોર્ટ સામે રજૂ ન કરવા તે ગંભીર બેદરકારી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ટ્રાયલ એ માત્ર સજા અપાવવા માટે નહીં, પણ સત્ય શોધવાની પ્રક્રિયા છે અને તેમાં નિર્દોષ વ્યક્તિ દંડાવી જોઈએ નહીં.










